અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના કાર્યકર્તાઓએ રેલી કાઢી મોટી સંખ્યામાં હલ્લાબોલ કર્યો હતો. ABVPના કાર્યકરો ગત 10મી તારીખે યુનિવર્સિટીમાં થયેલા ઘર્ષણ બાદ હવે સતત આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. ઘર્ષણની ઘટના દરમ્યાન ABVPના કાર્યકર્તાઓ અને યુનિવર્સિટી સિક્યુરિટી સ્ટાફ વચ્ચે લાકડીઓ અને લોખંડની પાઇપોથી મારામારી થઈ હતી, જેમાં કેટલાક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ વિવાદને વધુ ઉગ્ર બનાવી દીધો છે.
દૂરદર્શન ટાવરથી લઈને JG યુનિવર્સિટી સુધી રેલી કાઢી
આ ઘટનાના વિરોધરૂપે ABVPએ દૂરદર્શન ટાવરથી લઈને JG યુનિવર્સિટી સુધી રેલી કાઢી હતી. જ્યારે રેલી યુનિવર્સિટીના મુખ્ય ગેટ સુધી પહોંચી, ત્યારે કાર્યકરોને અંદર જવા દેવામાં ન આવતા ગેટ પર ઘર્ષણ થયો. પોલીસે તાત્કાલિક લાકડીથી કોર્ડન બનાવીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
અંદર પ્રવેશ ન મળતાં ABVPના કાર્યકરો કોલેજના બહાર જ ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. JCP નીરજકુમાર બડગુજર અને DCP હર્ષદ પટેલે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.






