AAP Gujarat : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યની કાયદો-વ્યવસ્થાને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, 'ગુજરાતમાં હાલ જંગલરાજ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં માત્ર 10 દિવસની અંદર ત્રણ નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે'. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે 'આજે ગાંધીનગર અને ભાવનગરમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની છે, જ્યારે થોડા દિવસો પહેલા રાજકોટના આટકોટમાં પણ એક દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ રાજ્યની કાયદો-વ્યવસ્થાની હકીકત ઉજાગર કરે છે'.
'ગુજરાતને ફરી શાંતિપ્રિય રાજ્ય બનાવવામાં આવે'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'પશ્ચિમ બંગાળમાં થયેલી બળાત્કારની ઘટના સમયે ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રતીક ઉપવાસ કર્યો હતો. જો આપણા મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓમાં જરા પણ દયાભાવ હોય તો ગુજરાતમાં બનેલી આ ઘટનાઓ મુદ્દે પણ એક દિવસનો પ્રતીક ઉપવાસ કરે” ઈસુદાન ગઢવીએ સરકાર સમક્ષ માંગ કરી હતી કે, 'આવા નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે અને ગુજરાતને ફરી શાંતિપ્રિય રાજ્ય બનાવવામાં આવે'. તેમણે આરોપ લગાવ્યો કે, 'ગુજરાતમાં બેફામ દારૂ અને ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે, નાની દીકરીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે અને કાયદો-વ્યવસ્થા નામની કોઈ વસ્તુ બચી નથી'.
“પોલીસનો ઉપયોગ માત્ર ખેડૂતોને કચડવામાં થાય છે'
પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, 'પોલીસનો ઉપયોગ માત્ર ખેડૂતોને કચડવામાં થાય છે, અદાણી અને વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં લાઈનો નાખવાના વિરોધમાં જ્યારે 5000થી વધુ ખેડૂતો એકઠા થયા, ત્યારે ભાજપના ઈશારે પોલીસે માતા, બહેન અને દીકરીઓ પર લાઠીચાર્જ કર્યો'. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે 'ભાજપના નેતાઓ, તેમના ધંધા અને માનીતા ઉદ્યોગપતિઓની સુરક્ષા માટે પોલીસને પૂરતો સમય મળે છે, પરંતુ બીજી તરફ ફૂલ જેવી દીકરીઓ પીંખાઈ રહી છે'.





















