Aam Aadmi Party હવે India Alliance થી અલગ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી શનિવારે યોજાનારી ઇન્ડિયા એલાયન્સની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે નહીં. AAP પાર્ટીનો કોઈ પણ નેતા આ બેઠકમાં હાજરી આપશે નહીં. AAP જૂન 2023માં રચાયેલા ઇન્ડિયા એલાયન્સથી ઔપચારિક રીતે અલગ થઈ ગઈ છે.
19 જુલાઈએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાવાની છે. આમ આદમી પાર્ટી ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓ અન્ય વ્યસ્તતાને કારણે આ બેઠકમાં હાજરી આપશે નહીં. 21 જુલાઈના રોજ યોજાનાર શહીદ દિવસ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત હોવાને કારણે ટીએમસીના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે નહીં, પરંતુ પાર્ટી ગઠબંધનની સાથે છે.
વિપક્ષી સાંસદો તેમની રણનીતિ બનાવશે
ચોમાસુ સત્ર પહેલા આ બેઠકમાં વિપક્ષી સાંસદો તેમની રણનીતિ બનાવશે. અગાઉ, લોકસભા ચૂંટણી પછી 1 જૂન, 2024 ના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ કોઈ બેઠક યોજાઈ નથી.
ઇન્ડિયા એલાયન્સ લોકસભા ચૂંટણી માટે હતું
શનિવારે ઇન્ડિયા એલાયન્સની બેઠક પર પ્રતિક્રિયા આપતા, AAP નેતા સંજય સિંહે કહ્યું કે ઇન્ડિયા એલાયન્સ 2024 ની લોકસભા ચૂંટણી માટે બનાવવામાં આવ્યું હતું. ગઠબંધનને કારણે, વિપક્ષી પક્ષોને 240 બેઠકો મળી, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હાલમાં, ભાજપ અને કોંગ્રેસ જનતા સમક્ષ એકબીજાના વિરોધી હોવાનો ડોળ કરે છે, પરંતુ વાસ્તવમાં બંનેએ એકબીજા સાથે ગુપ્ત જોડાણ કર્યું છે. આ ગઠબંધન ન તો વૈચારિક છે કે ન તો સૈદ્ધાંતિક. આ એક ભ્રષ્ટ અને તકવાદી કરાર છે, જેમાં સત્તા, ભ્રષ્ટાચાર અને રાજકીય સોદાબાજી બધાથી ઉપર છે. કોંગ્રેસનું દરેક પગલું ભાજપ માટે ફાયદાકારક છે. અને બદલામાં, ભાજપ સરકાર ગાંધી પરિવાર અને કોંગ્રેસના ભ્રષ્ટ નેતાઓને જેલમાં જવાથી બચાવે છે.
ઇન્ડિયા એલાયન્સ 26 પક્ષોથી શરૂ થયું હતું અને મુંબઈમાં યોજાયેલી બીજી બેઠક સુધીમાં, આ સંખ્યા 28 પર પહોંચી ગઈ. જોકે, 2024 ની લોકસભા ચૂંટણી દરમિયાન અને પછી તેમાં કેટલાક ફેરફારો થયા છે. જનતા દળ (યુનાઇટેડ) અને રાષ્ટ્રીય લોકદળ જેવા કેટલાક પક્ષો પાછળથી ગઠબંધનથી અલગ થઈ ગયા. હવે આમ આદમી પાર્ટીએ પણ તેનાથી અલગ થવાની જાહેરાત કરી છે.
AAP એ દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ પણ પોતાના દમ પર લડી હતી
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીઓ પોતાના દમ પર લડવાનો નિર્ણય લીધો હતો. ત્યારેથી આપનું ઈન્ડિયા ગઢબંધનમાં ભવિષ્ય ધૂંધળું દેખાતું હતું.






