ગુજરાત વિધાનસભામાં આજે સત્ર દરમિયાન ‘ખેડૂતોનું દેવું માફ કરો’ના નારા ગૂંજ્યા હતા. ટ્રેડ ડીલ મુદ્દે ગૃહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
'ભારત સરકારે અમેરિકાની સરકારના દબાણમાં ટ્રેડ ડીલ કરી છે'
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકાની સરકારના દબાણમાં ટ્રેડ ડીલ કરી છે, જે દેશના ખેડૂતો અને પશુપાલકોને નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ કેટલાક કૃષિ ઉત્પાદનો પર 0 ટકા ટેક્સ હતો, પરંતુ હવે આશરે 18 ટકા જેટલો ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે કૃષિ, તેલીબીયા સહિતના ઉત્પાદનો પર ટેક્સ લગાડવાથી ખેડૂતો પર આર્થિક બોજ વધશે.
'...દેશના ખેડૂતોને પૂરતી સહાય મળતી નથી'
ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે, 'અમેરિકાના ખેડૂતોને તેમની સરકાર તરફથી કરોડો રૂપિયાની સહાય મળે છે, જ્યારે દેશના ખેડૂતોને પૂરતી સહાય મળતી નથી. આવી સ્થિતિમાં જો અમેરિકાથી કપાસ અને તેલીબીયા જેવા ઉત્પાદનો ભારત આવશે તો સ્થાનિક ઉત્પાદન અને ખેડૂતોના હિતો પર પ્રતિકૂળ અસર પડશે'. તેમણે ચિંતા વ્યક્ત કરી કે 'અમેરિકાથી કેટલાક ઉત્પાદનો વગર ટેક્સ આયાત થશે તો દેશના કૃષિ બજાર પર ગંભીર અસર થઈ શકે છે'. અંતમાં ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ આ ટ્રેડ ડીલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને ખેડૂતોના હિત માટે આ મુદ્દે લડત ચાલુ રાખશે.




















