આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સ્ફોટક નિવેદનો કરી રાજકારણમાં માહોલ ગરમાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં 'ભાજપનું નહીં, પરંતુ ડરનું શાસન ચાલી રહ્યું છે, જેમાં સામાન્ય નાગરિકો ઉપરાંત પોલીસકર્મીઓ પણ ભયમાં કામ કરવા મજબૂર છે'.
'જગદીશ મહેતા પર 15 વર્ષ જૂના કેસમાં FIR નોંધાઈ છે'
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, 'જો ભાજપનું કહ્યું નહીં માનો તો સસ્પેન્ડ થશો, તમારી બદલી થઈ જશે, એવો ડર પોલીસની અંદર ફેલાવેલો છે.” તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય લોકોની ફરિયાદ લેવામાં આવતી નથી અને બીજી તરફ જગદીશ મહેતા પર 15 વર્ષ જૂના કેસમાં મુદ્દે ધડાધડ FIR નોંધાઈ રહી છે, જે સત્તાનો દુરુપયોગ દર્શાવે છે'.
“હું જગદીશ મહેતા અને જીગ્નેશ મેવાણીને ટેકો આપું છું''
તેમણે જાહેરમાં સ્પષ્ટ ટેકો વ્યક્ત કરતાં કહ્યું કે, “હું જગદીશ મહેતા અને જીગ્નેશ મેવાણીને ખુલ્લેઆમ ટેકો આપું છું. ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે પણ યોદ્ધાઓ મેદાનમાં છે, તેઓ બધાને હું ટેકો આપું છું, ઇટાલિયાએ ભ્રષ્ટ તંત્ર પર તીર ચલાવતા કહ્યું કે, “એક સાચા માણસ પર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીઓના પટ્ટા કેમ ન ઉતારી લેવાં જોઈએ?”
'અંગ્રેજોની સીધી લીટીના વારસદાર...'
તેમણે કટાક્ષ કરતાં ઉમેર્યું: “અંગ્રેજોની સીધી લીટીના વારસદાર ભાજપના નેતાઓની સંખ્યા બેથી પાંચ હજાર હશે, અને એ પાંચ હજાર લોકો સામે ગુજરાતના સાત કરોડ લોકો ડરીને બેઠાં છે.” ગોપાલ ઇટાલિયાના આ નિવેદનો રાજકીય ગરમાવો વધારતા દેખાઈ રહ્યા છે અને આવતા દિવસોમાં આ અંગે રાજકીય પક્ષોમાં વધુ ચર્ચા અને ટકરાવ જોવા મળી શકે છે'






