આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર સમક્ષ માવઠાના કારણે મોટાપાયે નુકસાન ભોગવનાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર ચૂકવવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને અનેક પાકો બરબાદ થઈ ગયા છે.
'વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ'
ચૈતર વસાવાએ કહ્યું કે, 'ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ, શાકભાજી, કઠોળ તેમજ કેળા સહિતના તમામ મુખ્ય પાકો માવઠાના કારણે નાશ પામ્યા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો આ અણધાર્યા વરસાદે છીનવી લીધો છે'. ધારાસભ્ય વસાવાએ રાજ્ય સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, સરકારી કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચવાની જગ્યાએ પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને સીધું વળતર ચૂકવવું જોઈએ. તેમણે ઉમેર્યું કે આવતા 30 અને 31 ઑક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ.
'ખેડૂતોને વહેલી તકે વળતર આપવું જોઈએ'
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે, 'મંત્રીઓ અને અધિકારીઓએ સ્થળ પર જઈને તથા સેટેલાઇટ સર્વે દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરી, ખેડૂતોને વહેલી તકે વળતર આપવું જોઈએ. સાથે જ જેમણે પાક ધિરાણ લીધું છે, તેમના લોન માફ કરવાની પણ માંગણી તેમણે કરી'. તેમણે આક્ષેપ કર્યો કે ગત વર્ષે પણ મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન છતાં કોઈ વળતર મળ્યું ન હતું. આ વખતે સરકારને ખેડૂતો સાથે ન્યાય કરવો જોઈએ'.
'તાત્કાલિક ધોરણે ટેકાના ભાવથી ખેડૂતોના પાકની ખરીદી કરવી જોઈએ'
એપીએમસીઓ (APMC) અંગે વાત કરતાં ચૈતર વસાવાએ કહ્યું કે, 'એપીએમસીઓમાં તાત્કાલિક ધોરણે ટેકાના ભાવથી ખેડૂતોના પાકની ખરીદી કરવી જોઈએ. સાથે જ જે લાયસન્સ વગરની હાટડીઓ ચાલે છે તેને બંધ કરાવવી જોઈએ, કારણ કે તે ખેડૂતોના શોષણનું કારણ બને છે''. ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે ઉભી છે અને આવતા સમયમાં પોતે પણ એપીએમસીમાં જઈને ખાતરી કરશે કે ખેડૂતોને સરકારે નક્કી કરેલા ભાવ મુજબ યોગ્ય ન્યાય મળે'.






