રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ તેમણે AAP પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો બાદ આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે પણ રાજુ કરપડાને લઈ કેટલા આક્ષેપિત ખુલાસા કર્યા છે. પ્રવિણ રામના જણાવ્યા મુજબ, જેલ દરમિયાન રાજુભાઈ પોતાના બે જુના કેસોને લઈને ભારે ચિંતામાં હતા. તેમણે જણાવ્યું કે, રાજુભાઈને એક કેસમાં પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે, જ્યારે બીજો કેસ ચુકાદા પર હતો. વધુમાં તેમણે દાવો કર્યો કે બીજા કેસમાં રાજુભાઈના પરિવારના ચારથી પાંચ સભ્યો પણ જોડાયેલા છે.
'ભાજપે આ બંને જુના કેસોના મુદ્દે રાજુભાઈ પર દબાણ બનાવી...'
પ્રવીણ રામે કહ્યું કે, રાજુભાઈને ભય હતો કે જો બીજા કેસમાં પણ સજા થશે તો તેઓ આગામી ચૂંટણી લડી શકશે નહીં. તેમના આક્ષેપ મુજબ ભાજપે આ બંને જુના કેસોના મુદ્દે રાજુભાઈ પર દબાણ બનાવી તેમને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રવીણ રામે એવો પણ દાવો કર્યો કે આ બંને કેસોમાં જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવામાં અડચણ ન આવે તે ધ્યાનમાં રાખીને જ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે.
'જો રાજુભાઈ ભાજપમાં જોડાશે તો સ્પષ્ટ થઈ જશે કે...'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'જો રાજુભાઈ ભાજપમાં જોડાશે તો સ્પષ્ટ થઈ જશે કે ભાજપના દબાણના કારણે જ તેમણે રાજીનામું આપ્યું છે. પ્રવીણ રામે એવો પણ આક્ષેપ કર્યો કે તેમને માહિતી મળી હતી કે ભાજપ તરફથી કેટલાક લોકો રાજુભાઈ કરપડાને જેલમાં મળવા જતા હતા. અંતમાં તેમણે માંગણી કરી કે જેલ પ્રશાસન સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થઈ જશે. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો વધુ વધ્યો છે.




















