આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રમુખ ઈશુદાન ગઢવીએ તાજેતરમાં અમદાવાદના જશોદા નગર વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટનાને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લોકોને પોતાનો રોજગાર બચાવવા માટે જીવ આપવો પડે છે.
અમદાવાદના જશોદા નગરમાં એક મહિલાએ રોજગાર બચાવવા માટે આત્મવિલોપન કરવાનો જે બનાવ બન્યો, તેને ગઢવીએ ગુજરાતની બે કરોડથી વધુ મહિલાઓ માટે એક અરીસા સમાન ગણાવ્યો. તેમણે કહ્યું કે, મહિલાએ લાખો રૂપિયાની લાંચ આપવા છતાં આ સ્થિતિ સર્જાઈ, જે દર્શાવે છે કે સરકાર કઈ રીતે સામાન્ય લોકોના રોજગાર છીનવી રહી છે.
ઈશુદાન ગઢવીએ સરકારની પ્રાથમિક જવાબદારી રોજગારી આપવાની હોવા છતાં, ઊલટાનું લોકોએ પોતાના ખર્ચે બનાવેલી દુકાનો તોડી પાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો. તેમણે ભાજપના શાસન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપનું એવું કયું મોડેલ છે જ્યાં મહિલાઓને આત્મવિલોપન કરવાની ફરજ પડે છે?
આ સાથે જ, ગઢવીએ ગુજરાતના વધતા દેવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, રાજ્યનું દેવું દિવસે દિવસે વધી રહ્યું છે અને તે હવે પાંચ લાખ કરોડને પાર કરી ગયું છે. આ નિવેદનો દ્વારા ઈશુદાન ગઢવીએ રોજગારી, ભ્રષ્ટાચાર અને આર્થિક સ્થિતિ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.






