લગ્ન નોંધણીમાં કરાયેલા સુધારા અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, સુધારા પહેલાં જનતા પાસેથી સૂચનો મંગાવવાનો સરકારનો નિર્ણય સરાહનીય છે. તેમનું કહેવું છે કે આ નોંધણી જનતા માટે છે, કોઈ એક પક્ષ માટે નહીં. તેથી ઓછામાં ઓછા 30 દિવસ સુધી જનતા પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવવાની વ્યવસ્થા હોવી જોઈએ.
'સમાજના દબાણ બાદ સરકાર સુધારા માટે તૈયાર થઈ છે'
AAP MLA ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, 'સમાજના દબાણ બાદ સરકાર સુધારા માટે તૈયાર થઈ છે અને આ મુદ્દે અવાજ ઉઠાવનાર SPG સહિત વિવિધ સામાજિક સંગઠનોને અભિનંદન પાઠવ્યા. તેમણે ઉમેર્યું કે નામ બદલાવી કે ખોટી રાજકીય ઓળખાણ બતાવી દીકરીઓને છેતરતા તત્ત્વો સામે કડક કાયદાની જરૂર છે, જેથી યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
'દર વર્ષે હજારો આદિવાસી દીકરીઓને બીજી જાતિ-જ્ઞાતિમાં લઈ જવામાં આવે'
આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ દર વર્ષે હજારો આદિવાસી દીકરીઓને બીજી જાતિ અથવા જ્ઞાતિમાં લગ્નના નામે લઈ જઈ તેમની ગરીબી અને મજબૂરીનો ગેરલાભ લેવાય છે. તેમણે આરોપ લગાવ્યો કે આવી રીતે રિઝર્વ સીટ અને 73AA જમીનના નિયમોના ગેરલાભ લેવામાં આવે છે. ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે આદિવાસી દીકરીઓના હિતોની રક્ષા માટે અને ગેરવર્તણૂક અટકાવવા માટે નિયમોમાં જરૂરી સુધારા કરવાની માંગ તેઓ આગળ પણ કરતા રહેશે.




















