ગોંડલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. ગોંડલના સુરેશ્વર ફાટક પાસે આ બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ યુવાને રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
પરિવારમાં શોકનો માહોલ
મૃતકની ઓળખ પરમાર પ્રદીપભાઈ રમેશભાઈ (ઉંમર 21 વર્ષ), રહે. પારડી (મૂળ ડોડીયાળા) તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે, યુવાન તાજેતરમાં કૌટુંબિક બહેનના લગ્ન પ્રસંગે હાજરી આપી પરત ફર્યો હતો. લગ્નનો આનંદ માણ્યા બાદ અચાનક તેણે આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરતાં પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે.
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને લઈને પરિવારજનોમાં દુઃખ અને આઘાતની લાગણી વ્યાપી છે. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આત્મહત્યાના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




















