AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ બોગસ આવકના દાખલા કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પેરેલલ કાર્યાલય ખોલીને લોકોને બોગસ આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા છે. તલાટીના સિક્કાઓ દ્વારા આ દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે. આ દાખલાઓના આધારે આજે નાંદોદ તાલુકામાં ઘણા લોકો રાઈટ ટુ એજ્યુકેશનના ફાયદા લઈ રહ્યા છે, પેન્શનનો લાભ લઈ રહ્યા છે અને બીજી કેટલીય સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા બે સપ્તાહથી તલાટીઓ દ્વારા આ મુદ્દે ફરિયાદ આપવામાં આવી છે પરંતુ પોલીસ પર અહીંયા ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ખૂબ જ ધીમી ગતિએ કામ કરી રહી છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે, જેટલા પણ આરોપીઓના નામ સામે આવ્યા છે તે તમામ ભાજપના માણસો છે માટે તેમના સુધી હજુ સુધી પોલીસનો હાથ પહોંચ્યો નથી. પોલીસ આ મુદ્દા પર તાત્કાલિક કડક તપાસ કરે એવી અમારી માંગ છે અને અમારી એવી પણ માંગ છે કે અગાઉના વર્ષોની પણ તપાસ કરવામાં આવે . જે પણ લોકોએ આવા દાખલાઓ કાઢી આપ્યા છે અને જે લોકોએ આ દાખલાઓનો ઉપયોગ કર્યો છે તે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરના કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. જો આવનારા સાત દિવસમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો કલેકટર કચેરી અને એસપી કચેરી ખાતે અમે ઉગ્ર આંદોલન કરીશું.
વડોદરામાં કોંગ્રેસનો ‘ચૂંટણી ઢંઢેરો’ જાહેર: ખાડા મુક્ત રસ્તા, શુદ્ધ પાણી અને કરવેરામાં રાહતના વચનો સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ






