ચકચારી બનેલા બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધીયાને માર મારવાના બનાવમાં હવે નવો ફણગો ફૂટ્યો છે. આ સમગ્ર મામલો હજુ શાંત થયો નથી ત્યાં સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓના મુદ્દે વધુ એક વિવાદ ઊભો થયો છે.
નવનીત બાલધીયાને માર મારવાના કેસ બાદ નવો ફણગો ફૂટ્યો
માહિતી મુજબ જયરાજ આહીર સામે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે. માયાભાઈ આહીરના દીકરા ભરત આહીરએ એસ.પી. કચેરી, રેન્જ આઈજી કચેરી તેમજ દાઠા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.
ભરત આહીરએ કરી અરજી
અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયામાં જયરાજ આહીર સામે કરવામાં આવેલી ટિપ્પણીઓથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. તેથી આવા લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતી ગેરમાર્ગે દોરતી માહિતી પર રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ પોલીસ તંત્ર દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલો વધુ ગરમાયો છે અને હવે પોલીસની કાર્યવાહી પર સૌની નજર છે.




















