ગાંધીધામ શહેરના રોટરીનગર વિસ્તારમાં માનવતાને હચમચાવી દે તેવી અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના બની છે. ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે પડોશીઓ વચ્ચે થયેલા વિવાદમાં એક આધેડને જીવતો સળગાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આઘાત અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
નજીવી બાબતે જીવતો સળગાવી દેવાની ઘટના
આ ઘટનામાં 50 વર્ષીય કરસન મહેશ્વરી પર પડોશમાં રહેતી ત્રણ મહિલાઓ પ્રેમિલાબેન નરેશભાઈ, અજુબેન હરેશભાઈ, મંજુબેન લહેરી તથા એક મારવાડી પુરુષે મળીને જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને આરોપીઓએ કરસનભાઈ પર મારપીટ શરૂ કરી હતી. હુમલાથી બચવા માટે કરસનભાઈ પોતાના ઘરના બાથરૂમમાં છુપાઈ ગયા હતા, પરંતુ આરોપીઓએ તેમનો પીછો કરી ત્યાં પહોંચીને તેમના પર ડીઝલ છાંટી આગ ચાંપી દીધી હતી.
ગંભીર રીતે દાઝી જતા મોત
આ ઘટનામાં કરસનભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમને તાત્કાલિક ભુજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું. મૃત્યુ પૂર્વે કરસનભાઈએ મામલતદાર સમક્ષ મરણોન્મુખ નિવેદન નોંધાવ્યું હતું, જે આ કેસમાં મહત્વનો પુરાવો બનશે.
હત્યાનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથધરી
ઘટનાની જાણ થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ હચમચાવતી ઘટનાએ સમાજમાં વધતી હિંસા અને અસહિષ્ણુતાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને સમગ્ર શહેરમાં શોક અને ભયની લાગણી ફેલાઈ ગઈ છે.




















