અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ સતર્ક છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલી પરમાનંદની ચાલીમાં ગાડીઓમાં તોડફોડ કરવાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બાળકોને રમવા બાબતે થયેલી નજીવી માથાકૂટ બાદ આ શખ્સોએ ત્રણ ગાડીઓના કાચ તોડી નુકસાન પહોચાડ્યું હતું.
ગોમતીપુરની પરમાનંદની ચાલીમાં બાળકો રમતા હતા ત્યારે તેમની વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. માથાકૂટ એટલી હદે વધી ગઈ કે કેટલાક યુવકોએ ઉશ્કેરાઈને ચાલીમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કૃત્ય આચરનાર ચાર આરોપીઓ સાગર, નરેશ, સંજય અને મનસુખને ઝડપી પડ્યા હતા. ધરપકડ બાદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું જેથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઇ શકે. આ ઘટના દર્શાવે છે કે, સામાન્ય બાબતોમાં પણ કાયદો હાથમાં લેનારા સામે પોલીસ કડક પગલાં લઇ રહી છે.






