Pavagadh Devotees : ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા. ભક્તોએ માતાજીના દર્શન કરીને નવા વર્ષ માટે આશીર્વાદ મેળવ્યા હતા તેમજ પરિવાર, સમાજ અને દેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વર્ષ 2025ને વિદાય આપી નવા વર્ષમાં માતાજીના આશીર્વાદ મેળવવાનો મહિમા દિવસેને દિવસે વધતો જઈ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું.
પાવાગઢ માઈભક્તોનું ઘોડાપૂર!
ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. દર્શન વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે યોગ્ય કતારોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં સ્વચ્છતાની ખાસ કાળજી લેવામાં આવી હતી. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભક્તોની અડગ આસ્થા
વર્ષના અંતિમ દિવસે પાવાગઢ ખાતે જોવા મળેલી ભક્તોની વિશાળ ભીડે આ યાત્રાધામની ધાર્મિક મહત્તા અને ભક્તોની અડગ આસ્થા ઉજાગર કરી રહ્યું છે. નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન સાથે કરવાની ભાવનાએ પાવાગઢને શ્રદ્ધા અને ભક્તિનું મહાન કેન્દ્ર બનાવી દીધું હતું.





















