રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા જેતલસર જંકશન રેલવે પુલ પર વહેલી સવારે ગંભીર કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પુલના ડિવાઈડર સાથે જોરદાર અથડાતાં બે ભાગમાં વિખેરાઈ ગઈ હતી. કારના બંને ભાગ રસ્તાની સામસામી બાજુ ફેંકાઈ જતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી. કારમાં ત્રણ યુવક અને એક યુવતી સવાર હતા. પ્રાથમિક વિગતો મુજબ ચારેય યુવાનો જુનાગઢ તરફથી જેતપુર આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
અકસ્માતમાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક યુવક અને યુવતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ કારની તેજ ગતિ અકસ્માત માટે જવાબદાર હોઈ શકે છે. પોલીસે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.




















