મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના સતત પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી તા. 5મી જૂનના રોજ ગાંધીનગર સ્થિત નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી?
આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરાયો છે તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં શું કામગીરી થશે?
આરોગ્ય વિભાગના મહત્ત્વના પ્રોગ્રામોમાં જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ વગેરેને ત્વરિત ફીડ-બેક આપી આરોગ્ય સેવાઓના અમલીકરણમાં રહી ગયેલ કામગીરીને ઓળખીને ઝડપી ગુણાત્મક સુધારો કરી શકાય તે માટે સરળતાથી સંવાદ સાધી શકાય તે માટેની ઓડિયો-વિઝ્યુલ્સ વ્યવસ્થા, વિવિધ અમલીકરણ થતી સેવાઓના લાભાર્થીઓના ડિજિટલ ડેટા અને ડેશબોર્ડ સાથેની સ્ટેટ ઓફ આર્ટની વ્યવસ્થા કરાઈ છે. કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ, વગેરે જેવી વિપરીત અને કટોકટીની પરિસ્થિતિઓમાં રાજ્યના તમામ જિલ્લાઓને રાજય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ, તજજ્ઞો સંકલિત રીતે ઓડિયો-વિઝ્યુઅલ્સ દ્વારા પરામર્શ થકી નીતિવિષયક નિર્ણયો અને અમલવારીની જાણ કરી ઉચ્ચ કક્ષાએ નિયત થયેલ રણનીતિઓ મુજબ ત્વરિત અમલીકરણ કરાવવાનું અસરકારક માધ્યમ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બની રહેશે.






