8th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્ષ 2026 મોટા સમાચાર લઈને આવ્યું છે. લાંબા સમયની રાહ જોયા બાદ, હવે 8માં પગાર પંચની રચના અને તેના અમલીકરણની ગતિવિધિઓ તેજ બની છે. ભારત સરકારે નવેમ્બર 2025 માં 8માં પગાર પંચની રચના કરી હતી અને હવે નાણા મંત્રાલયે આ અંગે કર્મચારી સંગઠનો અને હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. જો તમે પણ પગાર, પેન્શન કે ભથ્થાં અંગે કોઈ રજૂઆત કરવા માંગતા હોવ, તો 30 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન સૂચનો આપી શકો છો. 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવાની શક્યતા છે, જેનો અર્થ છે કે કર્મચારીઓને જંગી એરિયર (Arrears) પણ મળી શકે છે.
ભારતમાં સરકારી કર્મચારીઓના વેતન માળખામાં સુધારો કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. આઝાદીના સમયથી એટલે કે 1946 થી અત્યાર સુધીમાં કુલ સાત પગાર પંચોએ કર્મચારીઓના જીવનધોરણ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારાની ભલામણો કરી છે. 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) માં વધારો થવાની આશા છે, જેનાથી ન્યૂનતમ બેઝિક સેલરીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. જો આ ભલામણો સ્વીકારવામાં આવે, તો લેવલ 1 ના કર્મચારીઓનો પગાર અત્યારના ₹18,000 થી વધીને સીધો ₹46,000 ને પાર કરી શકે છે.
1 થી 7મા પગાર પંચ સુધીની સફર: કેટલો વધ્યો પગાર?
ભારતના વેતન ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આઝાદી સમયે લઘુત્તમ પગાર કેટલો ઓછો હતો અને આજે તે ક્યાં પહોંચ્યો છે. નીચે મુજબ અત્યાર સુધીના પગાર પંચોના આંકડા છે:
પગાર પંચ | વર્ષ | લઘુત્તમ બેઝિક પગાર | મહત્તમ બેઝિક પગાર |
1મું પગાર પંચ | 1946-47 | ₹55 | ₹2,000 |
2જું પગાર પંચ | 1957-59 | ₹80 | ₹3,000 |
3જું પગાર પંચ | 1972-73 | ₹196 | ₹3,500 |
4થું પગાર પંચ | 1986 | ₹750 | ₹8,000 |
5મું પગાર પંચ | 1996 | ₹2,550 | ₹26,000 |
6ઠ્ઠું પગાર પંચ | 2006 | ₹7,000 | ₹80,000 |
7મું પગાર પંચ | 2016 | ₹18,000 | ₹2,50,000 |
8માં પગાર પંચથી કેટલી વધશે તમારી સેલરી?
નિષ્ણાતોના મતે, જો 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 અથવા તેનાથી વધુ રાખવામાં આવે, તો પગારમાં સીધો 30% થી 34% નો વધારો થઈ શકે છે.
ન્યૂનતમ પગાર: રૂ.18,000 થી વધીને અંદાજે રૂ.46,260 થઈ શકે છે.
એરિયરનો લાભ: 1 જાન્યુઆરી 2026 થી અમલીકરણ ગણાય તો કર્મચારીઓને લાખો રૂપિયાનું એરિયર એકસાથે મળી શકે છે.
પેન્શનરોને ફાયદો: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ આ જ પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે.
નાણા મંત્રાલયે મંગાવ્યા સૂચનો: 30 એપ્રિલ છે છેલ્લી તારીખ
કેન્દ્ર સરકારે આ વખતે પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે તમામ હિતધારકો પાસેથી ઓનલાઈન મંતવ્યો મંગાવ્યા છે. કર્મચારીઓ તેમની સેવા શરતો, ભથ્થાં (Allowances) અને વેતન માળખા અંગે પોતાની રાય આપી શકે છે. સૂચનો સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. પંચ પાસે રિપોર્ટ તૈયાર કરવા માટે હજુ સમય છે, ત્યારબાદ તે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.




















