બાંગ્લાદેશના લશ્કરી અધિકારીઓ દ્વારા ૩૪ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના હવાલાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ૧૪-૧૫ જુલાઈ ૨૦૨૫ ની મધ્યરાત્રિએ બાંગ્લાદેશના લશ્કરી અધિકારીઓ દ્વારા મોંગલા નજીક ૩૪ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પાર કરીને બાંગ્લાદેશી પ્રાદેશિક પાણીમાં માછીમારી કરી રહ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે માછીમારોની ધરપકડની સાથે બાંગ્લાદેશના અધિકારીઓએ બે ટ્રોલર એફબી ઝાર અને એફબી મંગલચંદી પણ જપ્ત કર્યા હતા. ધરપકડ બાદ માછીમારોને મોંગલા બંદર પર લઈ જવામાં આવ્યા હતા. ભારતના ઉચ્ચ કમિશનરે આ મામલો યુનુસ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે જેથી માછીમારો સુરક્ષિત રીતે પાછા ફરી શકે.
બીજી તરફ કાકદ્વીપના ધારાસભ્ય મંતુરમ પખીરાએ ખાતરી આપી છે કે વહીવટીતંત્ર આ બાબતે સતર્ક છે તેમણે ખાતરી આપી છે કે પરિવારે ચિંતા ન કરવી જોઈએ. આ સાથે દક્ષિણ ૨૪ પરગણાના જિલ્લા મેજિસ્ટ્રેટ સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બાબતની માહિતી રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે.






