અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં રાત્રે આશરે 10:00 વાગ્યાના અરસામાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. 20 વર્ષીય યુવાન હિમેશ પરમાર પર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. ઘટનાથી વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
છરી વડે હુમલો
મળતી માહિતી મુજબ હિમેશ પરમાર પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. છરીના ગંભીર ઘા લાગતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ કાગડાપીઠ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હિમેશને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની વીએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે હુમલાનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ વ્યક્તિગત વેરઝેર કે અન્ય કોઈ કારણ હોવાની શક્યતા અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.




















