Home Gujarat 185 Pakistani Hindus Become Indian Citizens

185 પાકિસ્તાની હિન્દૂ બન્યા ભારતીય નાગરિક : હર્ષ સંઘવીએ તમામને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કર્યા

185  પાકિસ્તાની હિન્દૂ બન્યા ભારતીય નાગરિક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 12:22 PM IST

પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા 185 જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં મૂળ પાકિસ્તાનના 185 લોકોને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ-2019 હેઠળ 'ભારતીય નાગરિકતા એનાયત' કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમપ્રકાશના નિર્દેશ મુજબ, રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે, તેવા પાકિસ્તાનથી વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. મંત્રીએ જ્યારે કહ્યું કે, "હસતા રહો.. હવેથી તમે મહાન ભારત દેશના નાગરિકતા છો.." ત્યારે ઉપસ્થિત લોકોએ "ભારત માતા કી જય"ના નાદ સાથે તેમને વધાવી લીધા હતા. મંત્રીએ રાજકોટની ભૂમિને વંદન કરતા કહ્યું હતું કે, આ ભૂમિએ ગુજરાતને શ્રેષ્ઠ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપ્યા હતા અને હાલ દેશના લોકોએ તેમને શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. આ જ ભૂમિએ હવે પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા મૂળ ભારતના 185 લોકોને નવું જીવન આપ્યું છે.

આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે

પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ વગેરે પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે, જો આ વિસ્થાપિત લોકોની વેદના સાંભળીએ તો આંખોમાંથી આંસુ ના રોકાય, રૂંવાડા ઊભા થઈ જાય. પાકિસ્તાનમાં થતા અત્યાચારમાં કોઈ બહેને પતિ ગુમાવ્યા, તો કોઈએ સળગતું ઘર મુકીને નીકળી જવું પડ્યું. આવી સ્થિતિમાં આ લોકોએ ત્યાં વર્ષો કાઢ્યા છે. આ તમામ લોકોની સહન શક્તિને વંદન છે.

એક ડોક્ટર દીકરીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ દીકરીને જ્યારે પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, ત્યારે તેમના પર અત્યાચારો શરૂ થયા અને તેમણે માતા-પિતા સાથે વિસ્થાપિત થવું પડ્યું. આવા દેશમાંથી આવેલા આ મૂળ ભારતના લોકો "વસુધૈવ કુટુંબકમ"ની ભાવના ધરાવતા મહાન ભારત દેશના નાગરિક બન્યા છે, એમ તેમણે ગૌરવભેર કહ્યું હતું.

ભારત દેશની મહાનતાનું ગૌરવગાન કરતા મંત્રીએ કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જ્યાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે, જ્યાં માનવ માત્રનું સન્માન કરવામાં આવે છે. આજે દેશ-દુનિયામાં માનવ અધિકારોની ચર્ચા થાય છે ત્યારે માનવ અધિકારનું પાલન કેવું હોય તે જોવું હોય તો દુનિયાના લોકોએ ભારત અને ગુજરાતમાં આવવું જોઈએ. આ સાથે તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે શા માટે પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ સાથે અત્યાચારો અને ક્રુરતાભર્યા વ્યવહારો થાય છે?

મંત્રીએ લાભાર્થીઓને હૂંફ આપતા કહ્યું હતું કે, તમારે પાકિસ્તાનમાં સ્વજનો કે સગા સંબંધીઓને છોડીને આવવું પડ્યું હશે પણ અમે બધા તમારી સાથે છીએ અમે બધા તમારો પરિવાર છીએ. તમારા બાળકોને ભવિષ્યમાં ભારતમાં આગળ વધવાની તમામ સમાન તકો પ્રાપ્ત થશે. આ તકે લાભાર્થીઓએ આ પ્રમાણપત્ર મળવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત સરકારનો આભાર પ્રકટ કર્યો હતો. લાભાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરતી વખતે મંત્રી હર્ષ સંઘવીએ તેમની સાથે વાતચીત કરીને ખબર અંતર પણ પૂછ્યા હતા અને તેઓની લાગણી જાણી હતી. આ તકે પોતાના અનુભવો કહેતા લાભાર્થીઓ ગળગળા થઈ ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now