India Health News: દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી કફ સિરપ અને આલ્કોહોલયુક્ત ટોનિકનો નશા માટે વધતો દુરુપયોગ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને યુવાઓમાં પ્રિસ્ક્રિપ્શન વિના સરળતાથી ઉપલબ્ધ થતી કેટલીક દવાઓનો ગેરકાયદેસર રીતે નશા માટે ઉપયોગ થતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં મહત્વપૂર્ણ સુધારો જાહેર કર્યો છે. નવા નિયમો હેઠળ હવે 30 મિલીથી મોટી પેકિંગમાં ઉપલબ્ધ અને 12 ટકા કરતાં વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી તમામ ઓરલ લિક્વિડ દવાઓને 'શેડ્યૂલ H1' શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. તેનો સીધો અર્થ એ છે કે આવી દવાઓ હવે ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વગર ખરીદી શકાશે નહીં. સાથે જ દવા વેચતા મેડિકલ સ્ટોર્સ માટે વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ જાળવવો ફરજિયાત બનશે.
કઈ દવાઓ પર લાગુ પડશે નવો નિયમ?
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સુધારા અનુસાર બે શરતો પૂર્ણ કરતી તમામ ઓરલ લિક્વિડ દવાઓ આ નવા નિયમ હેઠળ આવશે. પ્રથમ, દવાની પેકિંગ 30 મિલીલીટરથી વધુ હોવી જોઈએ. બીજી, તેમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 12 ટકા કરતાં વધુ હોવું જોઈએ. આ બંને માપદંડોને પૂર્ણ કરતી કફ સિરપ, ટોનિક અથવા અન્ય ઓરલ દવાઓ હવે 'શેડ્યૂલ H1' યાદીમાં સામેલ થશે. અત્યાર સુધી આ યાદીમાં ઊંઘની દવાઓ, શક્તિશાળી પેઇનકિલર્સ અને ગેરઉપયોગની સંભાવના ધરાવતી કેટલીક સંવેદનશીલ દવાઓનો સમાવેશ થતો હતો.
હવે પ્રિસ્ક્રિપ્શન વગર દવા નહીં મળે
નવા નિયમ અમલમાં આવ્યા બાદ દર્દીઓને આવી દવાઓ ખરીદવા માટે નોંધાયેલ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવું પડશે. મેડિકલ સ્ટોર સંચાલકો પણ ડૉક્ટરની પર્ચી વિના આવી દવાઓ વેચી શકશે નહીં. આ ઉપરાંત દરેક વેચાણનો વિગતવાર રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. તેમાં ખરીદનારનું નામ, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને વેચાણની વિગતો નોંધવી પડશે. દવાની બોટલ અથવા પેકિંગ પર ચેતવણી દર્શાવતું વિશેષ લેબલ લગાવવું પણ ફરજિયાત રહેશે.
'શેડ્યૂલ K' હેઠળ મળતી છૂટ પણ સમાપ્ત
સરકારે માત્ર 'શેડ્યૂલ H1'માં જ નહીં પરંતુ 'શેડ્યૂલ K'માં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અગાઉ કેટલીક દવાઓને વેચાણ અને નિયમન સંબંધિત વિશેષ છૂટ આપવામાં આવતી હતી. હવે 30 મિલીથી મોટી અને 12 ટકા કરતાં વધુ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતી ઓરલ દવાઓને આ છૂટ મળશે નહીં. સરકારનું માનવું છે કે ઉત્પાદનથી લઈને વિતરણ અને રિટેલ વેચાણ સુધી સમગ્ર સપ્લાય ચેઇન પર કડક દેખરેખ રાખવાથી આવી દવાઓના દુરુપયોગને અસરકારક રીતે રોકી શકાશે.
સરકારે આ નિર્ણય કેમ લીધો?
કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેટલીક આલ્કોહોલયુક્ત કફ સિરપ અને ટોનિકનો ઉપયોગ સારવાર કરતાં વધુ નશા માટે થતો હોવાનું અનેક વખત સામે આવ્યું છે. પ્રિસ્ક્રિપ્શન વગર સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે આવા ઉત્પાદનોનો ગેરઉપયોગ વધી રહ્યો હતો. આ જ કારણસર સરકારે હવે આ દવાઓને વધુ નિયંત્રણ હેઠળ લાવવાનો નિર્ણય લીધો છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર મળી રહે અને બીજી તરફ દવાઓનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવી શકાય.
ડ્રાફ્ટ નિયમ પર કોઈ વાંધો આવ્યો નહોતો
આ સુધારાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2025માં જાહેર કર્યો હતો અને જનતા તેમજ સંબંધિત હિતધારકો પાસેથી સૂચનો અને વાંધાઓ માંગવામાં આવ્યા હતા. આ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન કોઈ નોંધપાત્ર વાંધો કે સૂચન પ્રાપ્ત થયું નહોતું. ત્યારબાદ ડ્રગ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ સાથે ચર્ચા કરીને નિયમને અંતિમ મંજૂરી આપવામાં આવી છે.
નિયમ ક્યારેથી અમલમાં આવશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી છ મહિનાના અંતે અમલમાં આવશે. એટલે કે અંદાજે જાન્યુઆરી 2027થી સમગ્ર દેશમાં આ નિયમ ફરજિયાત બનવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દવા ઉત્પાદક કંપનીઓ અને મેડિકલ સ્ટોર સંચાલકોને નવા નિયમો અનુસાર પેકિંગ, લેબલિંગ અને વેચાણ પ્રક્રિયામાં જરૂરી ફેરફારો કરવાની તક મળશે.
દુરુપયોગ રોકવા સાથે દર્દીઓની સુરક્ષાને મળશે પ્રાથમિકતા
નવા નિયમોનો મુખ્ય હેતુ દર્દીઓને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે, જ્યારે બીજી તરફ દવાઓનો નશા માટે થતો ગેરઉપયોગ અટકાવવાનો પણ છે. સરકારનું માનવું છે કે પ્રિસ્ક્રિપ્શન આધારિત વેચાણ અને કડક રેકોર્ડ-કીપિંગથી આલ્કોહોલયુક્ત દવાઓના અનિયંત્રિત ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો થશે અને જાહેર આરોગ્ય સુરક્ષાને વધુ મજબૂતી મળશે.





