ઉનાળામાં ખાવાની વાત આવે તો સૌથી પહેલાં લોકો તરબૂચને પસંદ કરતા હોય છે. જેમાં તમે લાલ કલરના તરબૂચ આરોગતા હશો. પરંતુ હવે લાલ નહીં પીળા તરબૂચ બજારમાં ધૂમ મચાવે છે. બહારથી લીલા અને અંદરથી પીળા કલરના આ તરબૂચ ખુબ જ ખાસ છે. જે લાલ તરબૂચ કરતા શરીર માટે વધુ ફાયદાકારક હોય છે. એટલું જ નહીં પણ આ પીળા તરબૂચની ખેતીથી ખેડૂતો પણ બમણી આવક મેળી શકે છે.
ભારતમાં ડેઝર્ડ કિંગની ખેતી
પીળા તરબૂચને ડેઝર્ડ કિંગના નામે પણ ઓળખવામાં આવે છે. આની ખેતીની શરૂઆત આફ્રિકામાં થઈ હતી. પરંતુ હવે ભારતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પીળા તરબૂચની ખેતી વધી રહી છે. જેની સાથે સાથે ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં પણ તેની ખેતી થાય છે. ભારતમાં પીળા તરબૂચના બે પ્રકાર જોવા મળે છે. જેમાં એક બહારથી લીલા અને અંદરથી પીળા રંગના હોય, બીજો પ્રકાર છે જેમાં બહારથી પીળા અને અંદરથી લાલ હોય છે. પીળા તરબૂચમાં આયરન, વિટામિન બી, સી, એ, બીટા કેરોટીન, મૈગ્નેશિયમ સહિતના પોષક તત્વોની ભરમાર છે.
પીળા તરબૂચની ખેતીમાં ખર્ચ અને આવક
લાલ તરબૂચના બજારમાં એક કિલોના 30 રૂપિયા જેટલા ભાવ હોય છે. જ્યારે પીળા તરબૂચના એક કિલોના 50 રૂપિયા ભાવ મળે છે. પીળા તરબૂચની ખેતીમાં એક એકર જમીનમાં 6 હજાર છોડ લાગે છે. જેમાં એક છોડ માટે લગભગ 25 રૂપિયાનો ખર્ચ થાય છે. જેથી એક એકરમાં પીળા તરબૂચની ખેતી માટે લગભગ 1.10 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. તો એક એકરમાં 18થી 20 ટન જેટલું ઉત્પાદન મળી શકે છે. જેને બજારમાં એક ક્વિન્ટલના 2 હજાર રૂપિયાના ભાવે વેચાણ કરી ખેડૂતો સારી આવક મેળવી શકે છે.
તરબૂચનો રંગ પીળો કેમ હોય છે?
કૃષિ વૈજ્ઞાનિકોના મતે લાઇકોપીન નામના રસાયણના આધારે તરબૂચનો રંગ નક્કી થતો હોય છે. જેમાં લાઈકોપીન વધુ હોય તેનો રંગ લાલ હોય છે. જ્યારે જેમાં તેનું પ્રમાણ ઓછું અથવા નહીંવત હોય તો તે તરબૂચનો રંગ પીળો હોય છે. જો કે પીળા તરબૂચ લાલ તરબૂચ કરતાં વધુ મીઠા હોય છે. વિટામિન Aથી ભરપૂર પીળા તરબૂચ ખાનારા લોકો કહે છે કે તેનો સ્વાદ એકદમ મધ જેવો હોય છે.





















