ભારતીય અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા માટે વર્ષ 2025 ખૂબ જ રાહતભર્યું સાબિત થયું છે. જ્યારે પણ દેશમાં આર્થિક ગતિ ધીમી પડે અથવા મોઘવારી કાબૂ બહાર જાય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સ્થિતિને સંભાળવા માટે મેદાનમાં આવે છે. આ વર્ષે મધ્યસ્થ બેંકે પોતાની મોનેટરી પોલિસીમાં જે નિર્ણયો લીધા છે તેનાથી મધ્યમ વર્ગને સૌથી મોટો ફાયદો થયો છે. સમગ્ર વર્ષ દરમિયાન વ્યાજદરોમાં જે ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો તેના કારણે લોકોના માથેથી EMI નો મોટો બોજ હળવો થયો છે. રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા આ પગલાંની સીધી અસર સામાન્ય માણસના બજેટ અને બચત પર સકારાત્મક રીતે જોવા મળી છે.
રેપો રેટમાં રેકોર્ડબ્રેક ઘટાડો
રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2025 દરમિયાન રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને પરિણામે રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 5.25 ટકા પર પહોંચી ગયો છે. જો આખા વર્ષ દરમિયાન થયેલા ઘટાડા પર નજર કરીએ તો શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં 25 બેસિસ પોઈન્ટ અને ત્યારબાદ એપ્રિલમાં પણ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા જૂન મહિનામાં અપેક્ષા કરતા વધુ એટલે કે સીધો 50 બેસિસ પોઈન્ટનો કાપ મૂકવામાં આવ્યો હતો. વર્ષના અંતે ડિસેમ્બરમાં ફરી એકવાર 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને ભેટ આપવામાં આવી છે.
સામાન્ય જનતાને સીધો ફાયદો
રેપો રેટ ઘટવાનો સૌથી મોટો અને સીધો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો છે. બેંકો દ્વારા હોમ લોન અને કાર લોનના વ્યાજદરો તાત્કાલિક અસરથી ઘટાડવામાં આવ્યા છે. વ્યાજદર ઘટવાને પરિણામે લોકોની લોનની EMI ની રકમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હપ્તા ઘટવાને કારણે લોકો પાસે અન્ય ખર્ચ કરવા માટે વધુ પૈસા બચ્યા છે અને તેમની ખરીદશક્તિમાં પણ વધારો થયો છે. ગ્રાહકોની ખરીદશક્તિ વધવાથી બજારમાં માંગ નીકળી છે અને અર્થતંત્રને પણ વેગ મળ્યો છે.
અર્થતંત્ર અને રૂપિયા પર અસર
ઉદ્યોગ જગત માટે પણ આ વર્ષ ઘણું પ્રોત્સાહક રહ્યું છે કારણ કે કંપનીઓ માટે બજારમાંથી ફંડ મેળવવું સસ્તું બન્યું છે. મૂડી ખર્ચ ઘટવાથી કંપનીઓના કેશ ફ્લોમાં સુધારો જોવા મળ્યો છે. જોકે આ સ્થિતિની એક બીજી બાજુ પણ છે. આર્થિક નિષ્ણાતોના મતે વ્યાજદરો ઘટવાને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી શકે છે કારણ કે અન્ય દેશોમાં તેમને વધુ વ્યાજ મળી રહ્યું હોય છે. આ કેપિટલ આઉટફ્લોને કારણે ભારતીય રૂપિયો નબળો પડ્યો છે અને તે ડોલરની સામે 90 ની સપાટી પણ વટાવી ગયો છે.
શેરબજારની પ્રતિક્રિયા
શેરબજાર પર પણ રિઝર્વ બેંકની નીતિઓની મિશ્ર અસર જોવા મળી છે. બજારમાં લિક્વિડિટી વધવાથી લાર્જ કેપ શેરોમાં સારી તેજી જોવા મળી છે જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરમાં થોડું દબાણ યથાવત રહ્યું છે. હાલની સ્થિતિમાં રિઝર્વ બેંક ખૂબ જ સાવચેતીપૂર્વક અને સંતુલિત રીતે આગળ વધી રહી છે જેથી મોઘવારી કાબૂમાં રહે અને સાથે સાથે આર્થિક વિકાસ પણ અટકે નહીં. રિઝર્વ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય રૂપિયો વધુ ગગડે નહીં તે જોવાનો પણ રહ્યો છે.





















