મહિલા અનામત બિલ પર સંસદમાં ઘમાસાણ
મુસ્લિમ મહિલાઓ મુદ્દે રાજકીય ટકરાવ
33% મહિલા અનામત માટે ત્રણ બિલ રજૂ, વિપક્ષનો વિરોધ તેજ
લોકસભા બેઠકો 850 કરવાનો પ્રસ્તાવ
અનામત મુદ્દે સંસદમાં રાજકારણ ગરમાયું
Mahila Anamat Bill 2026: આજે લોકસભામાં મહિલા અનામત સુધારા સંબંધિત ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યાં. મહિલા અનામત સુધારા બિલ પર આજે સંસદમાં ભારે રાજકીય ઘર્ષણ જોવા મળ્યું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને સપાના સુપ્રીમો અખિલેશ યાદવ વચ્ચે આ બિલને લઈને ભારે ઉગ્ર ચર્ચા થઈ. અખિલેશ યાદવે કહ્યું- આ સુધારા બિલ અંતર્ગત મુસ્લિમ મહિલાઓને પણ અનામત આપવી જોઈએ. ત્યારે આ મુદ્દે ઉગ્ર વાદ વિવાદમાં અમિત શાહે કહ્યું અખિલેશને જવાબ આપતા સંસદમાં કહ્યુંકે, તમે તેમને બધી ટિકિટ આપી દો. લોકસભાના સ્પીકરે કહ્યું આવતીકાલે સાંજે 4 વાગ્યે ત્રણેય સુધારા બિલ પર મતદાન થશે.
દેશની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને લઈ મોટું પગલું ગણાતું મહિલા અનામત સુધારા બિલ સંસદમાં રજૂ થતાં જ ગરમ ચર્ચાનો વિષય બની ગયું છે. એક તરફ સરકાર 33% અનામત સાથે મહિલાઓને વધુ સશક્ત બનાવવા માંગે છે, તો બીજી તરફ વિપક્ષ અને અન્ય પક્ષો તેના વિવિધ પાસાઓ પર ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
સંસદમાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ
આજે સંસદના ખાસ સત્ર દરમિયાન મહિલા અનામત કાયદામાં સુધારો કરતા ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા. આ બિલનો મુખ્ય હેતુ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરવાનો છે, જેનો અમલ 2029થી કરવાની યોજના છે. આ માટે બંધારણીય સુધારો, સીમાંકન અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા અલગ-અલગ બિલ રજૂ થયા છે. સરકારનું કહેવું છે કે આ પગલું મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે ઐતિહાસિક સાબિત થશે.
મુસ્લિમ મહિલાઓ મુદ્દે શાહ-અખિલેશ વચ્ચે તીવ્ર ટકરાવ
બિલ રજૂ થતાં જ સંસદમાં ચર્ચા દરમિયાન રાજકીય ટકરાવ પણ જોવા મળ્યો. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પ્રશ્ન ઉઠાવ્યો કે દેશની અડધી વસ્તી માટે અનામતની વાત થાય છે, પરંતુ તેમાં મુસ્લિમ મહિલાઓ માટે શું વ્યવસ્થા છે? તેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે ધર્મના આધારે અનામત આપવું બંધારણીય રીતે યોગ્ય નથી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જો સમાજવાદી પાર્ટી ઇચ્છે તો તે પોતાની બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપી શકે છે. આ નિવેદન બાદ સંસદમાં રાજકીય વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું અને ચર્ચા ગરમાઈ ગઈ.
વિપક્ષનો વિરોધ: “બંધારણ હાઇજેક કરવાનો પ્રયાસ”
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ પણ આ બિલનો વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે સરકાર પર આરોપ લગાવ્યો કે તે બંધારણને “હાઇજેક” કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી બેઠક બાદ જણાવ્યું કે તેઓ મહિલા અનામતના વિરોધમાં નથી, પરંતુ લોકસભાની બેઠકો વધારવાના પ્રસ્તાવને લઈ તેમને ગંભીર વાંધો છે. વિપક્ષે સંસદમાં બિલ વિરુદ્ધ મતદાન કરવાની પણ જાહેરાત કરી છે. બેઠકમાં રાહુલ ગાંધી સહિત અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની યોજના
આ સુધારા બિલમાં લોકસભાની કુલ બેઠકો 543થી વધારીને 850 કરવાની મોટી યોજના પણ રજૂ કરવામાં આવી છે. તેમાં રાજ્યો માટે 815 અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકોનો સમાવેશ થશે. આ ફેરફાર માટે બંધારણની કલમ 81 અને 82માં સુધારો કરવાની જરૂર પડશે. સાથે જ સીમાંકન પ્રક્રિયા દ્વારા નવી બેઠકો અને અનામતનું વિતરણ નક્કી કરવામાં આવશે. સરકાર 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવાની યોજના બનાવી રહી છે, જેથી પ્રક્રિયામાં વિલંબ ન થાય અને 2029ની ચૂંટણી પહેલા અમલ શક્ય બને.
સીમાંકન અને અનામતનું વિતરણ કેવી રીતે થશે?
સીમાંકન બિલ હેઠળ એક નવી કમિશન રચાશે, જે બેઠકોની નવી સીમાઓ નક્કી કરશે. કુલ 850 બેઠકોમાંથી આશરે 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ સાથે, દરેક ચૂંટણી બાદ અનામત બેઠકો ફેરવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી અલગ-અલગ વિસ્તારોને સમાન તક મળે. જોકે, બેઠકો ફાળવવાનું ચોક્કસ સૂત્ર હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ લાગુ થશે અનામત
કેન્દ્રશાસિત પ્રદેશો માટે અલગથી એક સક્ષમ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ હેઠળ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાઓમાં પણ 33% મહિલા અનામત લાગુ કરવામાં આવશે. આ પગલાથી સમગ્ર દેશમાં અનામતનો સમાન અમલ સુનિશ્ચિત કરવાનો સરકારનો પ્રયાસ છે.
ચર્ચા અને મતદાનની પ્રક્રિયા
આ બિલો પર 16, 17 અને 18 એપ્રિલે ચર્ચા થશે. લોકસભામાં કુલ 18 કલાક અને રાજ્યસભામાં 10 કલાક ચર્ચા માટે નક્કી કરવામાં આવ્યા છે. બિલોને પુનઃસ્થાપિત કરવા માટે થયેલા મતદાનમાં 251 સાંસદોએ સમર્થન આપ્યું, જ્યારે 185 સભ્યોએ વિરોધ કર્યો. આથી સ્પષ્ટ થાય છે કે મુદ્દો સંસદમાં અત્યંત વિવાદાસ્પદ છે.
ઉલ્લેખનીય છેકે, મહિલા અનામત બિલ દેશની રાજકીય વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે. મહિલાઓનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધશે. રાજકીય પાર્ટીઓમાં મહિલા નેતૃત્વ મજબૂત બનશે. ચૂંટણીના સામાજિક સમીકરણમાં ફેરફાર આવી શકે છે. પરંતુ, બેઠકોની સંખ્યા વધારવી, સીમાંકન અને ધર્મ આધારિત અનામત જેવા મુદ્દાઓને લઈને ચર્ચા હજુ લાંબી ચાલવાની સંભાવના છે.





