કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓને કથિત રીતે સેંકડો કરોડ રૂપિયાના દાન મળ્યા હોવાના સમાચારનો ઉલ્લેખ કરીને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું કમિશન આ મામલાની તપાસ કરશે કે તેમની પાસેથી સોગંદનામું માંગશે. એક હિન્દી ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થયેલા સમાચારને ટાંકીને, રાહુલ ગાંધીએ 'X' પર પોસ્ટ કરી કે, "ગુજરાતમાં કેટલીક અનામી પાર્ટીઓ છે જેમનું નામ કોઈએ સાંભળ્યું નથી, પરંતુ તેમને 4300 કરોડ રૂપિયાના દાન મળ્યું છે. તેમણે કે, "આ હજારો કરોડ ક્યાંથી આવ્યા? તેમને કોણ ચલાવી રહ્યું છે? અને પૈસા ક્યાં ગયા?" રાહુલ ગાંધીએ લખ્યું, "શું ચૂંટણી પંચ તપાસ કરશે - અથવા તે અહીં પણ સોગંદનામું માંગશે? અથવા તે કાયદો જ બદલશે, જેથી આ ડેટા પણ છુપાવી શકાય?"
ચૂંટણી દાનની મોટી રમત
ન્યૂઝ પેપરે પોતાના અહેવાલમાં દાવો કર્યો કે, ''ગુજરાતમાં નોંધાયેલા 10 અનામી પક્ષોના નામે ચૂંટણી દાનની મોટી રમત ચાલી રહી છે. પુષ્ટિ મળી છે કે 2019-20 થી 2023-24 સુધીના પાંચ વર્ષમાં, આ પક્ષોને કુલ 4300 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ સમયગાળા દરમિયાન યોજાયેલી કુલ ત્રણ ચૂંટણીઓ (બે લોકસભા ચૂંટણી - 2019 અને 2024 અને 2022 વિધાનસભા ચૂંટણી) માં, આ દસ પક્ષોએ ફક્ત 43 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તેઓને ફક્ત 54069 મત મેળવી શક્યા હતા.
ખર્ચ 39.02 લાખ રૂપિયા, ઓડિટમાં 3500 કરોડ રૂપિયા!
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પક્ષોનો ચૂંટણી ખર્ચ ફક્ત 39.02 લાખ રૂપિયા રહ્યો છે, જ્યારે ઓડિટ રિપોર્ટમાં ચૂંટણી ખર્ચ 3500 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દસ પક્ષોમાં લોકશાહી સત્તા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય જનતા દળ, સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, ભારતીય જન પરિષદ, સૌરાષ્ટ્ર જનતા પક્ષ, જનમાન પાર્ટી, માનવ અધિકાર રાષ્ટ્રીય પાર્ટી અને ગરીબ કલ્યાણ પાર્ટીનો સમાવેશ થાય છે.






