રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં પૂનમ ગુપ્તાને મોટી જવાબદારી મળી છે. તેમને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂનમ ગુપ્તાને ડૉ. માઈકલ દેવવ્રત પાત્રાના સ્થાને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ડૉ. પાત્રા 14 જાન્યુઆરી, 2025ના રોજ નિવૃત્ત થયા હતા. ગુપ્તાનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે.
વિશ્વ બેંકનો ભાગ
RBIમાં 4 ડેપ્યુટી ગવર્નર છે. તેમાંથી એક કોમર્શિયલ બેંકિંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને બીજા અર્થશાસ્ત્રી છે. અહેવાલ મુજબ, પૂનમ ગુપ્તાને રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુપ્તા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)ના ડાયરેક્ટર જનરલ અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પાર્ટ-ટાઇમ સભ્ય છે. આ ઉપરાંત તે વિશ્વ બેંકમાં ભારત માટે મુખ્ય અર્થશાસ્ત્રી પણ રહી ચુક્યા છે.
શું હોય છે ભૂમિકા?
હાલમાં આરબીઆઈના બાકીના 3 ડેપ્યુટી ગવર્નરો રાજેશ્વર રાવ, ટી રવિશંકર અને સ્વામીનાથન જાનકીરામન છે. મોનેટરી પોલિસી માટે જવાબદાર ડેપ્યુટી ગવર્નર ફુગાવાને અંકુશમાં લેવા અને આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગવર્નર સાથે નજીકથી કામ કરે છે. ડેપ્યુટી ગવર્નર આરબીઆઈની નીતિઓ ઘડવામાં અને તેના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઘણી જગ્યાએ કર્યું કામ
રિપોર્ટ અનુસાર, પૂનમ ગુપ્તાએ 2013 થી 2021 સુધી વર્લ્ડ બેંકમાં અલગ-અલગ હોદ્દા પર કામ કર્યું હતું. આ પહેલા તેણે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ (NIPF), ICRIER અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં અર્થશાસ્ત્રી પણ રહી ચૂક્યા છે.





















