ડિસેમ્બર 2024માં જય શાહ ઈન્ટરનેશલ ક્રિકેટ બોર્ડ એટલે કે ICCના ચેરમેન બન્યા હતા, જે બાદ BCCIનું સચિવ પદ ખાલી પડ્યુ હતું. આ દરમિયાન BCCIના સચિવ તરીકે બોર્ડના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયાની સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. દેવજીત સૈકિયા બિનહરીફ રીતે ચૂંટાઈ આવતા તેઓ હવે BCCIમાં નવા સચિવ તરીકેની જવાબદારી સંભાળશે. BCCIએ બોલાવેલી સામાન્ય બેઠકમાં સચિવ તરીકે દેવજીત સૈકિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પ્રભતેજ ભાટિયાની નિમણૂક BCCIમાં ખજાનચી તરીકે કરવામાં આવી છે. મહત્વનું છે કે દેવજીત સૈકિયાએ સચિવ માટે તો પ્રભતેજ ભાટિયાએ ખજાનચીના પદ માટે નામાંકન ભર્યુ હતું, બંને બિનહરીફ ચૂંટાઈ આવતા તેમની વરણી કરવામાં આવી છે.
જય શાહના સ્થાને હવે દેવજીત સૈકિયા હવે સચિવ
જય શાહે BCCIના સચિવ તરીકેનું પદ ખાલી કરતા BCCIના ચેરમેન રોજર બિન્નીએ પહેલા દેવજીત સૈકિયાને વચગાળાના સચિવ બનાવ્યા હતા,પરંતુ તે બાદ 45 દિવસની અંદર આધિકારીક રીતે નિયુક્તિ કરવી જરૂરી બની જાય છે. આ કારણથી હવે દેવજીત સૈકિયા સચિવ તરીકેનો કાર્યભાર સત્તાવાર રીતે સંભાળશે. જય શાહના સ્થાને હવે સચિવ દેવજીત સૈકિયા છે તો ખજાનચી તરીકે પ્રભતેજ ભાટિયાએ આશિષ શેલારની જગ્યા લીધી છે. મહત્વનું છે કે આશિષ શેલાર મહારાષ્ટ્રની સરકારમાં મંત્રી બન્યા હતા, જે બાદ તેમને ખજાનચીનું પદ છોડવુ પડ્યુ હતું, આ કારણથી ખજાનચીના પદ પર પણ નિયુક્તિ કરવામાં આવી.
કોણ છે દેવજીત સૈકિયા?
દેવજીત સૈકિયા બે વર્ષથી BCCI સાથે જોડાયેલા છે, દેવજીત સૈકિયા આસામના છે અને તેઓ આસામની ટીમ માટે ક્રિકેટ
રમતા હતા. સૈકિયાએ સ્પોર્ટ્સ ક્વોટા
અંતર્ગત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવી હતી. દેવજીત સૈકિયાએ માત્ર 28
વર્ષની ઉમરે ક્રિકેટ રમવાનું છોડી દીધુ, અને તે બાદ તેઓએ કાયદાના ક્ષેત્રમાં
કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું. મહત્વનું છે કે ગુવાહાટી હાઈકોર્ટમાં તેમણે વકીલ
તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી. વર્ષ 2016માં સૈકિયા ક્રિકેટ મેનેજમેન્ટ સાથે જોડાયા.
આસામ ક્રિકેટ એસોસિયેશનમાં 6 વર્ષ સુધી તેઓ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં
તે જ એસોસિયેશનના સેક્રેટરી પણ બન્યા અને વર્ષ 2022માં BCCIના જોઈન્ટ સેક્રેટરી પણ બન્યા. આ સાથે દેવજીત સૈકિયા દુનિયાના સૌથી ધનિક
ક્રિકેટ બોર્ડના સચિવ બન્યા છે.




















