Seed Bill 2025: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે 60 વર્ષ જૂના બીજ અધિનિયમ-1966 ને સંપૂર્ણપણે બદલવા માટે “બીજ બિલ 2025” નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નવો કાયદો બીજની ગુણવત્તા સુનિશ્ચિત કરવા, નકલી તથા હલકી ગુણવત્તાવાળા બીજના વેચાણ પર અંકુશ મૂકવા અને ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા તેમજ સસ્તા બીજ પૂરા પાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
નવા કાયદાના મુખ્ય પ્રાવધાનો
બધી જ બીજ જાતોની ફરજિયાત નોંધણી (ખેડૂતોની પોતાની જાતો અને નિકાસ માટેની જાતો સિવાય)
નકલી કે નોંધણી વગરના બીજ વેચવા પર ₹30 લાખ સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલ.
હાલની સૂચિત જાતોને આપોઆપ નવા કાયદા હેઠળ નોંધાયેલ ગણવામાં આવશે.
બીજની આયાતને વધુદ્ધારવામાં સરળતા અને ખેડૂત અધિકારોનું વધુ સશક્ત રક્ષણ.
નકલી બીજની ગંભીર સમસ્યા
કૃષિ મંત્રાલયના ડેટા મુજબ, 2022-25 દરમિયાન 5.98 લાખ બીજ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી 43,001 (લગભગ 7.2%) નમૂના હલકી ગુણવત્તાવાળા જાહેર થયા. સૌથી વધુ 62% કેસ પશ્ચિમ બંગાળમાંથી છે. આ સમયગાળામાં 1,914 FIR, 12,915 વેચાણ બંધન આદેશ અને 12,287 ચેતવણીઓ જારી કરવામાં આવી છે.
ખેડૂતો પાસેથી સૂચનો કેમ માગવામાં આવ્યા?
સરકાર ઈચ્છે છે કે આ કાયદો ખરેખર ખેડૂતોની જરૂરિયાતોને અનુરૂપ હોય. તેથી ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા ખેડૂતો, બીજ ઉદ્યોગ અને નાગરિકો પાસેથી સૂચનો-વાંધા મગાવવામાં આવ્યા છે. સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર 2025 છે. ત્યારબાદ ડ્રાફ્ટ કેબિનેટની મંજૂરી માટે મોકલાશે અને પછી સંસદમાં રજૂ કરવામાં આવશે. આ કાયદા દ્વારા સરકારનો હેતુ ભારતના ₹40,000 કરોડના બીજ બજારને વધુ પારદર્શક, ગુણવત્તાયુક્ત અને ખેડૂત-હિતૈષી બનાવવાનો છે. જો તમે પણ ખેડૂત છો કે બીજ ઉદ્યોગ સાથે જોડાયેલા છો, તો 11 ડિસેમ્બર પહેલાં પોતાના સૂચનો જરૂર મોકલો.





















