logo-img
Water Is Offered In This Mineral Temple Know Idol Pictures And Story Of This Unique Temple Without Priest

આ 'મિનરલ મંદિર'માં ચઢાવાય છે પાણીનો પ્રસાદ : જાણો મૂર્તિ, તસવીરો અને પૂજારી વિનાના અનોખા મંદિરની કથા

આ 'મિનરલ મંદિર'માં ચઢાવાય છે પાણીનો પ્રસાદ
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 09:47 AM IST

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર છે, એમ પણ ક્યાં કુરાનમાં પૈગંબરની સહી હોય છે...! ગુજરાતમાં આવેલાં એક અનોખા મંદિર પર આ ઉક્તિ એકદમ બંધ બેસતી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે આ મંદિરમાં કોઈપણ તસવીર કે મૂર્તિ નથી. આસ્થાના નામે આ મંદિરે ચઢાવાય છે પાણીનો પ્રસાદ. કહેવાય છેકે, શ્રદ્ધા હોય ત્યાં પથ્થર પણ ભગવાન બની જાય છે—આ કહેવતને સાકાર કરતું એક અનોખું આસ્થાનું સ્થળ પાટણ જિલ્લામાં આવેલું છે. અહીં ન તો કોઈ ભગવાનની મૂર્તિ છે, ન તો દેવી-દેવતાનો ફોટો છતાં, પણ રાજ્યભરના શ્રદ્ધાળુઓ અહીં નમન કરવા આવે છે. આ સ્થળની સૌથી વિશેષ વાત એ છે કે અહીં પ્રસાદ તરીકે પેડા, મીઠાઈ કે શ્રીફળ નહીં પરંતુ મિનરલ વોટર ચઢાવવામાં આવે છે.

પાટણ જિલ્લાના ચાણસ્મા–મોઢેરા હાઈવે પર આવેલું આ સ્થળ આજે ‘મિનરલ મંદિર’ તરીકે ઓળખાય છે. સ્થાનિક માન્યતા અનુસાર, અહીં મિનરલ વોટર ચઢાવવાથી શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અનેક લોકો માનતા માને છે અને માનતા પુરી થયા બાદ પાણીના પાઉચ કે બોટલો પ્રસાદરૂપે ચઢાવે છે.

દુર્ઘટનામાંથી જન્મેલી આસ્થા

આ સ્થળની પાછળ એક હ્રદયદ્રાવક ઘટના જોડાયેલી છે. વર્ષો પહેલા આ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં કેટલાક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાણી ન મળવાને કારણે ‘પાણી… પાણી…’ની ચીસો પાડતા તેઓએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક લોકોના દિલ હચમચાવી દીધા. બાળકોના તરસથી થયેલા મૃત્યુ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે લોકોએ અહીં પાણી ચઢાવવાનું શરૂ કર્યું. સમય જતાં આ પ્રક્રિયા શ્રદ્ધા અને માનતાનું સ્વરૂપ લેતી ગઈ અને આ સ્થળ એક પવિત્ર આસ્થાકેન્દ્ર બની ગયું.

ઈંટોની ગોખ અને દીવો—આસ્થાનું પ્રતિક

આજે પણ અહીં કોઈ ભવ્ય મંદિર નથી. માત્ર એક ઝાડ નીચે થોડી ઈંટોની ગોખ બનાવવામાં આવી છે, જ્યાં શ્રદ્ધાળુઓ દીવો પ્રગટાવે છે, પગે પડે છે અને બાધા છોડે છે. માનતા પુરી થયા બાદ લોકો મિનરલ વોટરના પાઉચ અને બોટલો ચઢાવે છે. અલગ અલગ ધર્મોમાં ભગવાનને અલગ અલગ પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે, પરંતુ પાટણ જિલ્લાના આ અનોખા સ્થળે પાણી જ પ્રસાદ છે—જે માનવ સંવેદના, કરુણા અને શ્રદ્ધાનું પ્રતિક બની ગયું છે.

આસ્થા આજે પણ જીવંત

સમય ભલે આગળ વધતો ગયો હોય, પરંતુ અકસ્માતની એ ઘટના અને તેની સાથે જોડાયેલી લાગણી આજે પણ જીવંત છે. આજેય રાજ્યના અનેક વિસ્તારોમાંથી લોકો અહીં આવે છે, શ્રદ્ધાથી માનતા માને છે અને મિનરલ વોટર ચઢાવીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે. આ ‘મિનરલ મંદિર’ એ સાબિત કરે છે કે ભગવાન માત્ર મૂર્તિમાં નહીં, પરંતુ માનવીય સંવેદના અને શ્રદ્ધામાં પણ વસે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now