વડોદરા જિલ્લાના વાઘોડિયામાં સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થિની બેભાન થઈ જતાં દોડધામ મચી ગઈ હતી . ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં સવારે 6 વાગ્યાથી વિદ્યાર્થીઓને બોલાવી રાખવામાં આવ્યા હતા જેના કારણે બેભાન થઈ હોવાના આક્ષેપ કરાયા છે.
પડી જવાથી મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી
ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં સાડા ત્રણ કલાક ઊભા રહેવાથી ધોરણ 11ની વૈષ્ણવી ગોહિલ નામની SPC વિદ્યાર્થિની બેભાન થઈ ગઈ હતી. ચક્કર આવતા પડી જવાથી મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં 6 ટાંકા આવ્યા હતા. તંત્ર માટે અને કાર્યક્રમના આયોજકો માટે શરમજનક બાબત તો એ હતી કે કે, ''મેડિકલ ટીમ સ્થળ પર હાજર ન હોવાથી વિદ્યાર્થિનીને બાઈક પર ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી''.

તાલુકા હેલ્થ ઓફિસરે શું કહ્યું?
મામલતદારે આરોગ્ય વિભાગને નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે. જો કે, આ મામલે તાલુકા હેલ્થ ઓફિસર યુ બી સિંહે જણાવ્યું કે, ''વહીવટી તંત્રે આરોગ્ય વિભાગને આમંત્રણ આપ્યું ન હોવાથી મેડિકલ ટીમ હાજર રહી ન હતી''
બાળકી બેભાન થવાની ઘટનાને પગલે અધિકારીઓ જવાબ આપવા ભારે પડી ગયા હતા, કાર્યક્રમની સફળતા માટે બાળકોને બોલાવવામાં આવતા હોય છે પરંતુ બાળક ની સુરક્ષા અને તેઓના સ્વાસ્થ્યની ચિંતા કરી અગાઉથી યોગ્ય વયવસ્થા કરવી જોઈએ એવી વિધાર્થીઓના વાલીઓમાં લાગણી જોવા મળતી હતી.





















