સાબરકાંઠા જિલ્લાના મજરા ગામમાં રાત્રિના સમયે ગંભીર ઘટના સર્જાઈ હતી. ગામમાં આવેલા મંદિરના વહીવટ અને ધાર્મિક કાર્યક્રમના મુદ્દે બે જૂથો વચ્ચે તીવ્ર તકરાર થઈ, જે બાદમાં હિંસક અથડામણમાં ફેરવાઈ. આ અથડામણના કારણે ગામમાં ભારે તોફાન અને ગભરાટ ફેલાયો હતો.
મજરા ગામે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
બે જૂથ વચ્ચે અથડામણમાં તકરાર એટલી બધી ઉગ્ર બની કે 100થી વધુ વાહનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. એટલું જ નહીં, 10 જેટલા મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ભીડે બેફામ તોડફોડ કરી અને જાહેર અને ખાનગી મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તોફાનમાં 7થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તરત જ હિંમતનગરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને ભારે અશાંતિ જોવા મળી રહી છે.
જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી પરિસ્થિતિ પર કાબૂ લાવી શકાય. હાલ ગામમાં શાંતિ બરાબર જાળવવામાં આવી રહી છે પરંતુ તણાવપૂર્ણ વાતાવરણ હજી પણ યથાવત છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તોફાન માટે જવાબદાર લોકોને નહીં છોડવામાં આવે.






