દિલ્હીના વ્યસ્ત અને ઐતિહાસિક વિસ્તારમાં, જ્યાં રામલીલા મેદાનની નજીક ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ અને કબ્રસ્તાન આવેલા છે, ત્યાં ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કાર્યવાહીએ અચાનક હિંસક વળાંક લીધો હતો. 6 જાન્યુઆરી 2026ની મોડી રાત્રે લગભગ 1 વાગ્યે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને પોલીસની સંયુક્ત ટીમે હાઈકોર્ટના આદેશને અનુસરીને અતિક્રમણ હટાવવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિક ભીડે તેમના પર પથ્થરમારો કર્યો. આ ઘટનામાં પોલીસને ટીયર ગેસના ગોળા છોડીને પરિસ્થિતિને કાબૂમાં લેવી પડી, જ્યારે કેટલાક અધિકારીઓને ઈજાઓ પણ થઈ હોવાનું સામે આવ્યું છે.
મોડી રાત્રે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી
તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ અને તેને અડીને આવેલા કબ્રસ્તાનની નજીકની જમીન પરથી અતિક્રમણ હટાવવા માટે MCDની ટીમ 17 બુલડોઝર સાથે પહોંચી હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુસરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઘરો, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા. રામલીલા મેદાનની નજીકના આ વિસ્તારમાં લગભગ 38,940 ચોરસ ફૂટ જમીન પરના અતિક્રમણને લક્ષ્યમાં લેવામાં આવ્યું હતું, જેમાં રસ્તા, ફૂટપાથ, પાર્કિંગ અને ખાનગી ક્લિનિકનો સમાવેશ થાય છે.
ભીડે પોલીસ અને MCD પર પથ્થરમારો કર્યો
કાર્યવાહી દરમિયાન સ્થાનિક ભીડે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો. બેરિકેડ તોડીને ભીડ કર્મચારીઓ અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગી, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ. પોલીસને ટીયર ગેસના ગોળા છોડીને ભીડને વિખેરવી પડી. આ હુમલામાં 4-5 પોલીસ અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. સેન્ટ્રલ રેન્જના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ મધુર વર્માએ જણાવ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને વિસ્તારને 9 ઝોનમાં વહેંચીને ADCP સ્તરના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સંવેદનશીલ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને વીડિયો ફૂટેજના આધારે પથ્થરબાજોની ઓળખ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
MCD અને કોર્ટના આદેશો
આ સમગ્ર મામલો દિલ્હી હાઈકોર્ટના આદેશોને કારણે શરૂ થયો છે. MCDએ 22 ડિસેમ્બર 2025ના આદેશમાં જણાવ્યું હતું કે મસ્જિદની બહારની 0.195 એકર જમીન પરના બાંધકામો ગેરકાયદેસર છે અને તેમને હટાવવા જરૂરી છે. MCDનું કહેવું છે કે આ જમીન પર માલિકી અથવા કાયદેસર કબજાના કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. આ આદેશ 12 નવેમ્બર 2025ના હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના નિર્દેશોના આધારે જારી કરવામાં આવ્યો હતો. ડીસીપી નિધિન વલસને જણાવ્યું કે કાર્યવાહી હજુ ચાલુ છે અને તે કોર્ટના આદેશ અનુસાર છે.
મસ્જિદ સમિતિનો વિરોધ, વક્ફ સંપત્તિનો દાવો
ફૈઝ-એ-ઇલાહી મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ MCDના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. સમિતિનું કહેવું છે કે આ જમીન વક્ફ સંપત્તિ છે અને તેઓ વક્ફ બોર્ડને લીઝ ભાડું ચૂકવે છે. તેમને અતિક્રમણ હટાવવા સામે વાંધો નથી, પરંતુ મુખ્ય વાંધો કબ્રસ્તાનને લઈને છે. લગ્ન ઘર અને ક્લિનિકનું સંચાલન પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યું છે.
કોર્ટની તાજેતરની કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે,6 જાન્યુઆરી 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટે મસ્જિદ અને કબ્રસ્તાન નજીકની જમીન પરથી અતિક્રમણ હટાવવાના આદેશને પડકારતી અરજી પર નોટિસ જારી કરી છે. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે MCD, શહેરી વિકાસ મંત્રાલય, દિલ્હી વિકાસ પ્રાધિકરણ અને દિલ્હી વક્ફ બોર્ડ સહિત અન્ય વિભાગો પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે આ મામલો સુનાવણીને પાત્ર છે અને તમામ પક્ષોને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આગળની સુનાવણી 22 એપ્રિલ 2026ના રોજ થશે. આ ઘટના પછી વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે, અને વહીવટી તંત્ર વધુ સુરક્ષા વ્યવસ્થા કરી રહ્યું છે.





















