Home International Venezuela Earthquake New Tremors After Deadly Quakes

વેનેઝુએલામાં ફરી ભૂકંપના આંચકા : 900થી વધુ મોત બાદ 4.9ની તીવ્રતાના નવા ઝટકાથી લોકોમાં ફરી દહેશત

Venezuela Earthquake
Published by: Nirali Gohil
Last Updated: Jun 27, 2026, 06:06 AM IST

Venezuela Earthquake: વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપોના કારણે સર્જાયેલી વિનાશકારી સ્થિતિ હજુ સામાન્ય બની નથી ત્યાં ફરી એકવાર ધરતી ધ્રૂજતાં લોકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છવાઈ ગયો છે. અગાઉ 7.1 અને 7.5ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપોએ દેશના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી, જેમાં 900થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. આફતમાંથી બહાર આવવા માટે સરકાર અને રાહત એજન્સીઓ સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત છે. જોકે, આજે ફરી 4.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા પહેલેથી જ પ્રભાવિત વિસ્તારોમાં રહેલા લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. નવા આંચકાના કારણે લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા.

રાજધાની કરાકસ સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા આંચકા

માહિતી અનુસાર, વેનેઝુએલાના ઉત્તર કિનારાના વિસ્તારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેના આંચકા રાજધાની કરાકસ તેમજ મારાકે શહેરમાં પણ અનુભવાયા હતા. અગાઉના વિનાશકારી ભૂકંપોના કારણે પહેલેથી જ માનસિક તણાવમાં રહેલા લોકોમાં આ નવા ઝટકાથી વધુ ગભરાટ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેટલાક વીડિયો અને તસવીરોમાં લોકો સુરક્ષિત સ્થળોની શોધમાં રસ્તાઓ અને ખુલ્લા મેદાનો તરફ દોડતા જોવા મળ્યા હતા. અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વધુ નુકસાન અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વેનેઝુએલામાં સદીનો સૌથી ભયાનક ભૂકંપ : બે પ્રચંડ આંચકાથી 164 થી વધુ ના મોત મૃત્યુઆંક હજુ વધવાની આશંકા

બચાવ કામગીરી થોડા સમય માટે અટકાવવી પડી

નવા ભૂકંપના આંચકાને કારણે રાહત અને બચાવ કામગીરીને પણ થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આવેલા બે મોટા ભૂકંપ બાદ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં 920થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 3,300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હજુ પણ અનેક લોકો ગુમ હોવાનું માનવામાં આવે છે અને બચાવ દળો સતત શોધખોળમાં વ્યસ્ત છે.

ભૂકંપના કારણે વધતી ચિંતા

ભૂકંપવિજ્ઞાનીઓના મતે, મોટા ભૂકંપ બાદ આવનારા નાના અને મધ્યમ આંચકાઓને 'આફ્ટરશોક' તરીકે ઓળખવામાં આવે છે, જે કેટલાંક દિવસો અથવા અઠવાડિયાઓ સુધી અનુભવાઈ શકે છે. આવી સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. વેનેઝુએલામાં સર્જાયેલી આ કુદરતી આફતને કારણે હજારો પરિવારો બેઘર બન્યા છે અને અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન હજુ પણ ખોરવાયેલું છે. બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે અને સરકાર દ્વારા અસરગ્રસ્તોને જરૂરી સહાય પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now