Shanbar Samadhi Vandalism Case : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સણબાર ગામે મોટો ઉધમ મચ્યો છે. અહીં વિચરતી વિમુક્ત જાતિના વાદી સમુદાયની વર્ષો જૂની 150થી વધુ સમાધિઓ પર અજાણ્યા અસમાજિક તત્વોએ બુલડોઝર ફેરવી તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સમાધિઓ પર જેસીબીથી તોડફોડ
શણબાર ગામના આમલી ફળિયામાં આવેલી પડતર જમીન પર વાદી સમાજના લોકો વર્ષોથી તેમના અવસાન પામેલા સ્વજનોની સમાધિ કરતા આવ્યા છે. રાત્રિના સમયે કેટલાક ઇસમોએ અહીં જેસીબી ફેરવી સમાધિઓ તોડવા શરૂ કર્યા, જેના કારણે ગ્રામજનો વચ્ચે ભારે રોષ ફાટી નીકળ્યો અને બોલાચાલી પણ સર્જાઈ હતી.
8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતાં સંતરામપુર પોલીસે તાત્કાલિક દોડધામ કરી હતી. પોલીસે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને સમગ્ર કેસની વધુ તપાસ શરૂ કરી છે. વાદી સમુદાયના લોકો આ કૃત્યને પોતાના પૂર્વજોના અપમાન સમાન ગણાવી રહ્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. સ્થાનિકોમાં અશાંતિનું માહોલ છવાયો છે, જ્યારે પોલીસ પરિસ્થિતિ ઉપર નજર રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે.





















