Home Gujarat Vadodara Vadodara Two Deaths Unconscious Heatwave

ગરમી વચ્ચે ચિંતાજનક બનાવો : વડોદરામાં બેભાન થયા બાદ બે લોકોનાં મોત

SSG હોસ્પિટલના બોર્ડની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 18, 2026, 12:22 PM IST

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વધતી ગરમી વચ્ચે બેભાન થઈ જતા બે વ્યક્તિના મોતના બનાવોએ ચિંતા વધારી છે. વડોદરા જિલ્લાના પાદરા અને શહેરના તરસાલી વિસ્તારમાં બનેલા આ બે અલગ બનાવોમાં એક યુવક અને એક વૃદ્ધાનું મોત થયું છે. બંને કેસમાં હાલ ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલમાં રાજ્યમાં વધતી ગરમીના પ્રકોપ વચ્ચે આવી ઘટનાઓ સામે આવતાં આરોગ્ય સંબંધિત જોખમો અંગે ફરીથી ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને બેભાન થવાના કેસોમાં ગરમી, ડિહાઈડ્રેશન અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધિત કારણો જવાબદાર હોઈ શકે તેવી શક્યતાઓ તબીબી વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે, જો કે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત : સુરેન્દ્રનગર 44.5°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

પાદરામાં યુવક બેભાન હાલતમાં મળ્યો

પ્રથમ બનાવ પાદરા નજીક આવેલા પેટ્રોલપંપ પાસે બન્યો હતો જ્યાં અનુજ જયપ્રકાશ શાહ જે વડોદરાના મકરપુરા જયભોલેનગર વિસ્તારમાં રહેતો હતો બેભાન હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તેની સ્થિતિ ગંભીર જણાતા તેને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી.

પ્રાથમિક માહિતી મુજબ, સુનિલભાઈ નામના વ્યક્તિએ યુવકને ત્યાંથી મકરપુરા વિસ્તાર તરફ ખસેડ્યો અને પછી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય.

આ પણ વાંચો: હાશ..! હવે અગનગોળા ફેંકતી ગરમીથી મળશે રાહત : જાણો હવામાન વિભાગની 'ટાઢક' આપતી આગાહી

તરસાલીમાં વૃદ્ધાનું ઘરે જ બેભાન થવાથી મોત

બીજો બનાવ વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી શરદનગર સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેતી અનિતા સુરેન્દ્રસિંહ કાંગ રાત્રિના સમયે પોતાના ઘરે જ અચાનક બેભાન થઈ ગઈ હતી. પરિવારજનોને જાણ થતા તરત જ 108 એમ્બ્યુલન્સ સેવા બોલાવવામાં આવી.

વૃદ્ધાને તાત્કાલિક મકરપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. તબીબોએ તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદનાં દરિયાપુરમાં જીમની હાલત કફોડી હોવાનો આક્ષેપ : કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો આક્ષેપ

ગરમી અને આરોગ્ય જોખમ વચ્ચે ચિંતા

આ બંને બનાવો એવા સમયે સામે આવ્યા છે જ્યારે રાજ્યમાં તાપમાન સતત ઊંચું રહે છે અને હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે અત્યંત ગરમીમાં શરીરમાં પાણીની અછત, બ્લડ પ્રેશરનું ઘટાડું અથવા હીટસ્ટ્રોક જેવા કારણોસર બેભાન થવાના બનાવો વધી શકે છે. જોકે, બંને કેસમાં તબીબી રિપોર્ટ આવ્યા વિના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા બંને બનાવોની નોંધ લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલમાં બંનેનાં મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત પાછળ કુદરતી કારણો હતા કે અન્ય કોઈ પરિસ્થિતિ જવાબદાર હતી. જો જરૂરી હશે તો પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાશે આ બનાવોએ ખાસ કરીને ગરમીના સમયમાં આરોગ્ય પ્રત્યે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને યુવાનો માટે પૂરતું પાણી પીવું, તડકામાં લાંબા સમય સુધી ન રહેવું અને શરીરમાં અસ્વસ્થતા જણાય ત્યારે તરત તબીબી મદદ લેવી અગત્યની બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now