રાજ્યમાં કાળઝાળ ગરમી ગાભા કાઢી રહી છે. આકરી ગરમીના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે હવે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ગરમીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગના એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી છ દિવસ તાપમાનમાં ક્રમશ ઘટાડો થશે અને મોટાભાગના જિલ્લાઓનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે.
હિટવેવને લઇ કોઈ અલર્ટ નહીં
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં હિટવેવને લઇ કોઈ અલર્ટ આપવામાં આવ્યું નથી. જ્યારે આગામી 24 કલાક બાદથી રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થશે. જ્યારે દરિયાકિનારાના જિલ્લાઓમાં આજે ગરમ અને ભેજવાળા પવન ફૂંકવવાની શક્યતા છે.
આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
આજના તાપમાનની વાત કરીએ તો આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગર બાદ રાજકોટમાં 43.5 ડિગ્રી, અમરેલીમાં 43.5 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર અને ભુજમાં 42.6 જ્યારે વડોદરામાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.






