વડોદરા શહેરમાં પાણીગેટ-માંડવી માર્ગ પરથી પસાર થઈ રહેલી માંજલપુરની શ્રીજી સવારી પર ઈંડા ફેકવાની ઘટના બાદ તાત્કાલિક એક્શનમાં આવેલી વડોદરા શહેર પોલીસની સંખ્યાબંધ ટીમોએ સગીર સહીત ત્રણ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
માંજલપુરના નિર્મળ પાર્ક ગણેશ મંડળની ગણેશ પ્રતિમા સાથેની સવારી મંગળવારે મધ્ય રાત્રીએ ત્રણ વાગ્યાના અરસામાં પાણીગેટ-માંડવી રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા ઈંડા ફેંકવામાં આવતા આ વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી.પરંતુ અગાઉથીજ બંદોબસ્તમાં તૈનાત પોલીસ ટુકડીઓ, અને ઈંડા ફેંકવાની ઘટનાની જાણ થતા દોડી આવેલ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

પોલીસ કમિશ્નર દ્વારા ટીમો બનાવાઈ
વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરે તાત્કાલિક ટીમોની રચના કરી ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકનાર ગુનેગારોને શોધી કાઢવા સુચના આપી હતી જેને પગલે સીટી પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત DCP ઝોન- 3,DCP ઝોન-4, ક્રાઈમ બ્રાંચ,PCB સહીતની એજન્સીઓની જુદી જુદી સંખ્યાબંધ ટીમોએ વિવિધ દિશાઓમાં જુદા જુદા એન્ગલથી તપાસ શરુ કરી દીધી હતી. ફલશ્રુતિ રૂપે ઈંડા ફેંકનાર ત્રણેય આરોપીઓને સાંજ સુધીમાં ઓળખી કાઢી અટકાયતમાં લઇ લેવામાં આવ્યા હતા.
સગીર વિરુદ્ધ અલગથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ઝડપાયેલા ત્રણમાં એક સગીર વિરુદ્ધ અલગ થી કાર્યવાહી થશે
વડોદરા પોલીસના એડીશનલ પોલીસ કમિશ્નર લીના પાટીલે આ મામલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે અમે ત્રણ આરોપીઓનું પગેરું મેળવવામાં સફળ રહ્યા જેમાં એક સગીર છે જયારે અન્ય બે આરોપીઓ સુફીયાન ઉર્ફે ગામા મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઈર્શાદ કુરેશી પુખ્ત વયના છે.. સીટી પોલીસ મથકે નોંધાયેલ ગુના સંદર્ભે સુફીયાન શાહનવાઝની ધરપકડ કરવામાં આવશે. આ બંને વડોદરાના ખાનકા મોહલ્લાના રહેવાસી છે. જયારે ત્રીજો આરોપી સગીર હોવાથી તેની વિરુદ્ધ અલગથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગુનામાં વધુ કલમો ઉમેરવામાં આવશે
એડીશનલ પોલીસ કમિશ્નર લીના પાટીલે મીડિયાને સંબોધતા જણાયું હતું કે આ ત્રણેયની પૂછપરછ તથા તપાસ દરમ્યાન જે હકીકતો ખુલશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂર જણાશે તો વધુ કલમો પણ ઉમેરવામાં આવશે. ત્રણેયની પૂછપરછ તથા તપાસ દરમ્યાન અન્ય કોઈની ભૂમિકા બહાર આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
ઝોન-3 અને ઝોન-4 ના વિસ્તારોમાં મોટા પાયે કોમ્બિંગ
ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બાદ વડોદરા શહેર પોલીસના ઝોન-3 અને ઝોન-4 ના વિસ્તારોમાં સધન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઝોન ૩ માં આવેલ વાડી પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તાર એવા દૂધવાળા મોહલ્લા, ખાનકહા મોહલ્લા,મદાર માર્કેટ તેમજ શહેર પોલીસ ઝોન-4ના વિસ્તારમાં પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


16-16 પોલીસની 5 ટીમો દ્વારા સામુહિક કોમ્બિંગ

વડોદરા શહેર પોલીસના ઝોન-3 ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે બંને ઝોનના DCP દ્વારા 5 PI, 5PSI એમ 5 ટીમ બનાવવામાં આવી હતી દરેક ટીમમાં 16ના સ્ટાફ સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ઝોન 3 અને 4 ઉપરાંત વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘરે ઘરે પોલીસની ટીમો દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ સાથે દસ્તાવેજોની ચકાસણી કરી હતી.





















