વડોદરા શહેરમાં 11 મેના રોજ યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કાર્યક્રમને લઈને શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને VVIP મૂવમેન્ટ માટે સંપૂર્ણ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે જેના વિષે પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન વડોદરામાં સ્થિત સરદારધામના લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ મોટા પ્રમાણમાં જનસભા અને અન્ય આયોજન પણ ગોઠવવામાં આવ્યા છે જેના કારણે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય પ્રવાસ : રાત્રિ રોકાણ સાથે વિશેષ કાર્યક્રમોની તૈયારી
એરપોર્ટથી સરદારધામ સુધી કડક બંદોબસ્ત
પોલીસ કમિશનર Narsinh Komarના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રીનાં આગમન દરમિયાન એરપોર્ટ રોડથી સરદારધામ સુધીનો સમગ્ર માર્ગ હાઈ સિક્યોરિટી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દરેક સંવેદનશીલ સ્થળે પોલીસ તૈનાત રહેશે અને CCTV તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર પરિવહન, વાહન પાર્કિંગ અને માર્ગ પરિવર્તન અંગે અગાઉથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછો તકલીફ થાય.
ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક
આ સુરક્ષા વ્યવસ્થાને અસરકારક રીતે અમલમાં મુકવા માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે અને દરેક સ્તરે સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ સમગ્ર બંદોબસ્તમાં એક જોઈન્ટ પોલીસ કમિશનર, એક એડિશનલ પોલીસ કમિશનર, 8 DCP, 15થી વધુ ACP, 50થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટર અને આશરે 1500 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, જરૂર હોય ત્યાં ક્વિક રિસ્પોન્સ ટીમ અને ટ્રાફિક પોલીસ પણ સ્ટેન્ડબાય પર રહેશે.
જનતા માટે માર્ગદર્શિકા
પોલીસ દ્વારા આ સમગ્ર આયોજન અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ ઝોન, અને પ્રતિબંધિત વિસ્તારો અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોલીસના માર્ગદર્શનનું પાલન કરે અને અનાવશ્યક ભીડ ટાળે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. સાથે જ, કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ સજ્જ રાખવામાં આવી છે.
શહેર માટે મહત્વપૂર્ણ પ્રસંગ
પ્રધાનમંત્રીનો આ પ્રવાસ વડોદરા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શહેરના વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમો અને સરદારધામના લોકાર્પણના કારણે આ મુલાકાતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે સુરક્ષા, ટ્રાફિક અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જે વડોદરાની વ્યવસ્થાપન ક્ષમતાને પણ દર્શાવે છે.





