Bridge Collapse News: વર્ષ 2025 જાણે ગુજરાત માટે કંઈક કપરાં સંકેતો લઈને આવ્યું છે. જેને કારણે વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં એક બાદ એક ખરાબ ઘટનાઓ બની રહી છે. ઈમારતોમાં અચાનક આગની ઘટના હોય કે મોટા અકસ્માતની વણઝાર ગુજરાતમાં સતત સમસ્યાઓ આવતી રહી છે. એવામાં અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે આજે ફરી એકવાર મધ્ય ગુજરાતમાં વાહન વ્યવહારથી ધમધમતો ચાલુ બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના સામે આવી છે. ત્યારે જે બ્રિજ તૂટી પડ્યો છે તેની ઓળખ પણ કંઈક વિચિત્ર પ્રકારની છે.
મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડ઼તી મહત્ત્વની કડી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વાહન વ્યવહાર ખોરવાયો છે. 45 વર્ષ પહેલાં બનેલો આ બ્રિજ આજે ખખડધજ હાલમાં ઉભેલો છે. સ્થાનિકોની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ બ્રિજની મરામત કે સમારકામનું ધ્યાન આપવામાં આવ્યું નથી. એ જ સૌથી મોટું કારણ છેકે, આજે વાહનોથી ભરેલો આ બ્રિજ એકાએક નદીમાં તૂટી પડ્યો. આ બ્રિજના નામ સાથે આવી જ અજીબોગરીબ વાત જોડાયેલી છે.
કેમ સુસાઈડ પોઈન્ટ તરીકે જાણીતો બન્યો ગંભીરા બ્રિજ?
છેલ્લાં 4 દાયકા કરતા વધુ સમયથી ગંભીરા બ્રિજ અનેક લોકોના મોતનું કારણ બની ચુક્યો છે. મહીસાગર નદીની બિલકુલ સેન્ટરમાં આવેલાં આ બ્રિજમાં અત્યાર સુધી અનેક લોકો કૂદકો મારી ચુક્યા છે. જીવનથી કંટાળીને અત્યાર સુધી સંખ્યાબંધ લોકો ગંભીરા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી ચુક્યા છે. સ્થાનિકો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે, આ બ્રિજ પરથી ભૂતકાળમાં પ્રેમી પંખીડાઓ મોતની છલાંગ લગાવા ચુક્યા છે. આ પ્રકારની ઘટનાઓ બાદ જ આ બ્રિજનું નામ સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત બની ગયું હતું. આ બ્રિજની સંરચના એવી છેકે, જો કોઈ માણસ તેની ઉપરથી નીચે નદીમાં પડે તો તેના બચવાની સંભાવના ખુબ જ ઓછી રહે છે. કારણકે, નદીના પાણીનું વહેણ, ઉંડી નદી અને તાત્કાલિક બચાવ ટીમને પહોંચવા માટે યોગ્ય જગ્યા જોઈએ અહીં તેનો અભાવ છે. એ જ કારણ છેકે, ભૂતકાળમાં અનેક લોકોએ આ જગ્યાને મોતને વહાલું કરવાનું સ્થળ બનાવી લીધું હતું. જેને કારણે સમગ્ર પંથકમાં વર્ષોથી ગંભીરા બ્રિજ સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત બની ગયો છે.
આપઘાતના બનાવો અટકાવવા માટે બ્રિજ પર પોલીસ પણ સતર્કતા રાખતી હોય છે. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજના હાલ બે કટકા થઈ ચુક્યા છે. આ દુર્ઘટનામાં 13 ના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. . હજુ પણ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા જ લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યાં હતાં.
કેવી રીતે બની બ્રિજ તૂટવાની દુર્ઘટના?
9 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે ગંભીરા બ્રિજ પરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. અફરાતફરી નો માહોલ સર્જાઇ ગયો હતો . કુલ 13 વ્યક્તિના મોત નિપજ્યાં છે. 8 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તે સાથે પાદરા પોલીસે પણ ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.




















