ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ થયો છે. 200થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. ભારતીય સેનાનું કહેવું છે કે 9 સૈનિકો પણ ગુમ થયા છે. વાદળ ફાટ્યા બાદ ઘરો, દુકાનો, બજારો અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. હવામાન ખરાબ છે, સતત વરસાદ પડી રહ્યો છે, તેથી બચાવ કામગીરી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ધારાલી અને સુખી ટોપ વિસ્તારમાં બે વાદળ ફાટ્યા, જેની અસર ધારાલી ગામ પર જોવા મળી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લોકોમાં હોબાળો મચી ગયો. ઉત્તરાકાશીમાં આ ઘટના બાદ મોટા પાયે શોધ અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 130 થી વધુ લોકોના જીવ બચાવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પાસેથી સતત અપડેટ લઈ રહ્યા છે.
Mi-17 V5, ALH અને ચિત્તા હેલિકોપ્ટરની તૈનાતી
ભારતીય સેના, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ઘણી ટીમો બચાવ કામગીરી માટે તૈનાત છે. ઉત્તરાખંડ સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાના ચિનૂક, Mi-17 V5, ALH અને ચિત્તા હેલિકોપ્ટર ચંદીગઢ એરબેઝ પર ઉડાન ભરવા માટે તૈયાર છે, ખરાબ હવામાનને કારણે ઉડાન ભરી શકતા નથી. હવામાન સુધરતા જ, આ હેલિકોપ્ટર સાધનો અને રાહત સામગ્રી સાથે ઉત્તરકાશી જશે.
9 સૈન્ય જવાનો ગુમ?
સરકારે બચાવ કામગીરીને ઝડપી બનાવવા, સંકલન સ્થાપિત કરવા માટે ત્રણ વધારાના IAS અધિકારીઓને તૈનાત કર્યા છે, આ સાથે પોલીસ અધિકારીઓને પણ મોકલવામાં આવ્યા છે. ભારતીય સેનાના સૂર્યા કમાન્ડે જણાવ્યું હતું કે Ibex બ્રિગેડના સૈનિકોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે, જે બચાવ કામગીરી હાથ ધરી છે. 14 રાજપૂત રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ હર્ષવર્ધન બચાવ કામગીરીમાં સામેલ 150 કર્મચારીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં 14 રાજપૂત રાઈફલ્સના સૈનિકો પણ ફસાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 9 સૈન્ય જવાનો ગુમ છે, તેમ છતાં આ ટીમના સૈનિકો અટલ નિશ્ચય સાથે કામ કરી રહ્યા છે.

_bb0edfe6-5864-4409-982e-0b7580ea887a.gif)



















