અમેરિકાના રાજકીય માહોલમાં મોટો હલચલ મચાવતો નિર્ણય સામે આવ્યો છે. ઈરાન સાથે વધતી તણાવ વચ્ચે આતંકવાદ વિરોધી તંત્રના ટોચના અધિકારીએ અચાનક રાજીનામું આપતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે.
અમેરિકાના નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના વડા જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને તેઓ નૈતિક રીતે સમર્થન આપી શકતા નથી. કેન્ટના મતે, ઈરાન તરફથી અમેરિકાને કોઈ તાત્કાલિક ખતરો નહોતો.
ઇઝરાઇલના દબાણમાં લીધો નિર્ણય
કેન્ટે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે અમેરિકા આ યુદ્ધમાં પોતાના હિતથી નહીં પરંતુ ઇઝરાઇલ અને તેના સમર્થકોના દબાણમાં જોડાયું છે. તેમના શબ્દોમાં, આ નિર્ણય "અમેરિકા ફર્સ્ટ" નીતિના વિરુદ્ધ છે.
ટ્રમ્પની નીતિ પર સીધો પ્રહાર
કેન્ટે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું કે ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જેમણે યુદ્ધોથી દૂર રહેવાની વાત કરી હતી. પરંતુ હાલની નીતિ તે જ સિદ્ધાંતોને નબળી પાડે છે. તેમણે ઈરાક યુદ્ધનો ઉલ્લેખ કરતા ચેતવણી આપી કે આ ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ.
વ્યક્તિગત દુખ અને કડવો અનુભવ
જો કેન્ટે પોતાના અંગત જીવનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ 11 વખત યુદ્ધમાં ભાગ લઈ ચૂક્યા છે અને ઈઝરાયેલ દ્વારા નિર્મિત એક યુદ્ધ દરમિયાન પોતાની પત્ની ગુમાવી છે. આ કારણે તેઓ નવી પેઢીને એવા યુદ્ધમાં ધકેલવા માટે તૈયાર નથી જેમાં દેશને કોઈ સ્પષ્ટ લાભ નથી.
હવે નિર્ણયનો સમય
કેન્ટે ટ્રમ્પને સંદેશ આપતા કહ્યું કે હાલની પરિસ્થિતિમાં માર્ગ બદલવાની તક છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમેરિકા વધુ અસ્થિરતા અને નુકસાન તરફ જઈ શકે છે.
નોંધનીય છે કે આ રાજીનામું માત્ર એક અધિકારીનો નિર્ણય નથી, પરંતુ અમેરિકાની વિદેશ નીતિ અને મધ્ય પૂર્વની જટિલ રાજકીય પરિસ્થિતિ પર મોટા પ્રશ્નો ઊભા કરે છે. ઈરાન-ઇઝરાઇલ તણાવ વચ્ચે આવી આંતરિક અસહમતિ વૈશ્વિક રાજકારણને અસર કરી શકે છે.



















