અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.ત્યારથી વેપાર યુદ્ધની સ્થિતિ યથાવત છે. આજે ફરી અમેરિકાએ ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક સામાન પર 104 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે.
આ દરમિયાન અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભારત, આર્જેન્ટિના, વિયેતનામ અને ઈઝરાયેલ જેવા દેશો તેમના દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે યુએસ સેનેટ ફાઇનાન્સ કમિટીમાં આ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને યોગ્ય ઠેરવી હતી.
જેમીસન ગ્રીરના જણાવ્યા મુજબ, આ દેશોએ યુએસ વહિવટીતંત્રનો સંપર્ક કર્યો છે અને ટેરિફ ઘટાડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મતલબ કે જો અમેરિકા ટેરિફ ઘટાડશે તો તેઓ પણ એ જ નીતિનું પાલન કરશે. યુએસ દ્વારા કૃષિ પર લાદવામાં આવેલા 5% ટેરિફની ભારતના સરેરાશ 39% કૃષિ ટેરિફ સાથે સરખામણી કરતા, ગ્રીરે કહ્યું કે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બિન-પારસ્પરિક વેપાર નીતિઓ યુએસ માટે કેવી રીતે નુકસાન કરે છે.
ટેરિફ પર ભારતનું વલણ બદલાઈ રહ્યું છે.
ગ્રીરના જણાવ્યા અનુસાર, ભારત સહિત ઘણા દેશો હવે ટ્રમ્પની ટેરિફ નીતિને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ટેરિફ ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે લગભગ 50 દેશોએ ટ્રમ્પ વહિવટીતંત્રના સભ્યોનો સંપર્ક કર્યો છે. તેણે અમેરિકા સાથે વેપાર સંબંધો સુધારવામાં રસ દાખવ્યો છે. આ યાદીમાં ભારત એક મહત્વપૂર્ણ નામ છે કારણ કે તે અમેરિકાનું મુખ્ય વેપાર ભાગીદાર છે. ટેરિફ નીતિઓમાં આવા ફેરફારોની બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર દૂરગામી અસરો પડશે.
ગ્રીરે આંકડાઓ દ્વારા માહિતી આપી હતી
ગ્રીરે આંકડાઓ દ્વારા માહિતી આપી છે કે 1994થી, અમેરિકાએ 5 મિલિયન નોકરીઓ અને 90,000 ફેક્ટરીઓ ગુમાવી છે. એક સમયે વેપારનો મહત્વનો હિસ્સો ગણાતું કૃષિ ક્ષેત્ર હવે ખોટમાં ગયું છે. આવી સ્થિતિ ખાસ કરીને બાઈડેન વહિવટીતંત્રના છેલ્લા બે વર્ષમાં જોવા મળી છે. આ તમામ ફેરફારો ટેરિફ, વેપાર અવરોધો અને વિદેશી સ્પર્ધાત્મક નીતિઓનું પરિણામ છે જેણે યુએસને ભારે નુકસાન પહોંચાડ્યું છે.





