Uttar Pradesh : ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા રાજકીય ફેરફારોના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે સાંજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ વિસ્તરણ માત્ર વહીવટી જરૂરિયાત નથી, પરંતુ તેને ભાજપની મોટી રાજકીય રણનીતિના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. લખનઉમાં અત્યારે તમામની નજર મુખ્યમંત્રી આવાસ અને રાજભવન પર ટકેલી છે.
રાજ્યપાલ સાથેની સૂચક મુલાકાત
મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયાને વેગ આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે સાંજે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરવાના છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપી શકે છે. સામાન્ય રીતે આવી ઔપચારિક મુલાકાત બાદ જ શપથ ગ્રહણની તારીખ અને સમય નક્કી કરવામાં આવતો હોય છે, જે રવિવારે સાંજે થવાની પૂરેપૂરી શક્યતા છે.
કેબિનેટમાં 10 જેટલા નવા ચહેરા
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, યોગી સરકારમાં આશરે 9 થી 10 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ નવા મંત્રીઓની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે. ચર્ચામાં રહેલા મુખ્ય નામોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી, ધારાસભ્ય મનોજ પાંડે અને પૂજા પાલનો સમાવેશ થાય છે. આ નામો દર્શાવે છે કે ભાજપ સંગઠન અને સરકાર બંનેમાં સક્રિય એવા નેતાઓને પ્રાધાન્ય આપી રહી છે.
વિભાગોમાં મોટા ફેરબદલની શક્યતા
આ વખતે માત્ર નવા મંત્રીઓ જ ઉમેરવામાં નહીં આવે, પરંતુ વર્તમાન મંત્રીઓના વિભાગોમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામો અને વિવિધ મંત્રીઓની કામગીરીના રિપોર્ટ કાર્ડના આધારે કેટલાક મંત્રીઓના ખાતા બદલાશે અથવા તેમના કદમાં ફેરફાર કરવામાં આવશે. સરકારનો હેતુ એ છે કે ચૂંટણી પહેલા તમામ મહત્વના વિભાગોમાં એવા મંત્રીઓ હોય જે જનતા સુધી સરકારની યોજનાઓ અસરકારક રીતે પહોંચાડી શકે.
"આ ડિગ્રી ગળામાં લટકાવવા માટે હોય છે?": રવિ કિશનની PhD પર યોગીની ચુટકી, નિયમોની ચર્ચા શરૂ
જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો
ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિ અને પ્રાદેશિક સંતુલન હંમેશા ચૂંટણીમાં મહત્વનું રહ્યું છે. આ મંત્રીમંડળ વિસ્તરણ દ્વારા ભાજપ ઓબીસી, દલિત અને બ્રાહ્મણ મતોને ફરીથી એકજૂથ કરવાનો પ્રયાસ કરશે. પશ્ચિમ યુપીથી લઈને પૂર્વાંચલ સુધીના તમામ વિસ્તારોને મંત્રીમંડળમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપીને ભાજપ સોશિયલ એન્જિનિયરિંગનો નવો માસ્ટર પ્લાન અમલમાં મૂકી રહ્યું છે.
"શંકરાચાર્યની ટિપ્પણીથી માનસિક આઘાત...": માઘ મેળા વિવાદ પર CM યોગીના સમર્થનમાં GST ડેપ્યુટી કમિશનરે આપ્યું રાજીનામું
ચૂંટણી રણનીતિ પર ભાર
આગામી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. લોકસભા ચૂંટણીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને જમીની સ્તરે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાવવા માટે મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર દ્વારા ભાજપ વિપક્ષોને એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ હજુ પણ મજબૂત છે અને આગામી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.





