લોસ એન્જલસથી શાંઘાઈ જઈ રહેલા યુનાઈટેડ એરલાઈન્સના વિમાને ટેકઓફના માત્ર બે કલાક બાદ જ પરત ફરવું પડ્યું હતું. કારણ બસ એટલું જ કે પાયલોટ પાસે પાસપોર્ટ નહોતો. આ ઘટનાથી મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા અને સોશિયલ મીડિયા પર મજાકનો વિષય પણ બન્યો. શનિવારે, 22 માર્ચે, યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ UA 198 લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડ્યું હતું. પ્લેનમાં 257 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર હતા. જ્યારે પ્લેન પેસિફિક મહાસાગરની ઉપર પહોંચ્યું ત્યારે પાઇલટને ખ્યાલ આવ્યો કે તે પોતાનો પાસપોર્ટ લાવવાનું ભૂલી ગયો છે. પાસપોર્ટ વિના ચીનમાં પ્રવેશ શક્ય ન હતો, તેથી પ્લેનને સાન ફ્રાન્સિસ્કો પાછા વાળવાની ફરજ પડી હતી.
મુસાફરો થયા ગુસ્સે
વિમાન પરત આવવાને કારણે મુસાફરોને છ કલાકનો વિલંબ સહન કરવો પડ્યો હતો. યુનાઇટેડ એરલાઇન્સે મુસાફરોને ભોજન વાઉચર અને વળતરની ઓફર કરી, પરંતુ સોશિયલ મીડિયા પરનો આક્રોશ ઓછો થયો નહીં. એક મુસાફરને કુલ $30 (આશરે રૂ. 2500) ના ફૂડ વાઉચર્સ મળ્યા, જેની સાથે તેણે એરપોર્ટ પર એક જાપાનીઝ રેસ્ટોરન્ટમાં ખાધું. પરંતુ અન્ય મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'રેડનોટ' પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક યુઝરે લખ્યું, "કામમાં આટલી ઘોર બેદરકારી કેવી રીતે હોઈ શકે?" આ પોસ્ટને 10,000 થી વધુ લાઈક્સ મળી છે. ઉડ્ડયન નિષ્ણાત શુકર યુસુફે આ ઘટનાને યુનાઈટેડ એરલાઈન્સ માટે “શરમજનક” ગણાવી હતી. તેમણે કહ્યું કે આટલી મોટી એરલાઇન દ્વારા આવી ભૂલ અક્ષમ્ય છે. આ શિસ્તનો મોટો અભાવ દર્શાવે છે.
એરલાઇનનો વિવાદો સાથે જૂનો સંબંધ
આ બાબત યુનાઈટેડ એરલાઈન્સ માટે નવો માથાનો દુખાવો ઉભો કરી રહી છે. તાજેતરમાં એરલાઈન્સ સાથે જોડાયેલા ઘણા વિવાદો સામે આવ્યા છે. ગયા અઠવાડિયે જ, એક યહૂદી મુસાફરે દાવો કર્યો હતો કે તેને ફ્લાઇટમાં ટોઇલેટમાંથી બળજબરીથી ફેંકી દેવામાં આવ્યો હતો. અન્ય એક ઘટનામાં, એક મહિલાએ આરોપ લગાવ્યો કે એરલાઈને તેણીને તેના બીમાર પુત્રની શ્વાસની નળી દૂર કરવા કહ્યું.
આવી ઘટનાઓ યુનાઈટેડ એરલાઈન્સ જેવી દિગ્ગજ કંપનીમાં મુસાફરોના વિશ્વાસ પર સવાલો ઉભા કરી રહી છે. પરંતુ હાલમાં આ પાઇલટની 'ભૂલ' ઇન્ટરનેટ પર મીમ્સ અને ચર્ચાનો વિષય બની રહી છે.






