Ujjwl Nikams Big Revelation about Sanjay Dutt: સીનિયર એડવોકેટ અને હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરાયેલાં રાજ્યસભાના સાંસદ ઉજ્જવલ નિકમે મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઉજ્જવલ નિકમે જણાવ્યું છેકે, જો અભિનેતા સંજય દત્તે હથિયારો ભરેલી વાન વિશેની માહિતી પોલીસ કે સુરક્ષા એજન્સીઓને આપી દીધી હોત તો 1993માં મુંબઈમાં થયેલો બોમ્બ બ્લાસ્ટની ઘટના અટકાવી શકાઈ હોત, અને અનેક નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત. આ હુમલામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, ઉજ્જવલ નિકમે હાલમાં જ NDTV સાથેની મુલાકાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ઉજ્જવલ નિકમે આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વિસ્ફોટના થોડા દિવસો પહેલાં અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો માણસ અબુ સાલેમ સંજય દત્તના ઘરે હથિયારોની એક વાન લઈને આવ્યો હતો. જેમાં AK-47 અને હેન્ડ ગ્રેનેડ્સ હતા. સંજયે તેમાંથી એક AK-47 ગન પોતાની પાસે રાખી હતી અને બાકીના હથિયારો પાછા આપી દીધા હતા. જોકે, તેણે આ અંગે કોઈ માહિતી પોલીસને આપી ન હતી, જે નિકમના મતે, સમગ્ર ઘટનાક્રમમાં એક મોટી ભૂલ પડકારરૂપ બની.
નિકમે કહ્યું કે કાયદાની દ્રષ્ટિએ સંજય દત્તે ગુનો કર્યો હતો, પરંતુ વ્યક્તિગત રીતે તે એક સરળ માણસ છે અને તેને આતંકવાદી ઘોષિત કરાયો ન હતો. કોર્ટે પણ TADA હેઠળ નહિ પરંતુ Arms Act હેઠળ સંજયને દોષિત ઠેરવ્યો હતો. બાદમાં સારી વર્તણૂકને ધ્યાને લઈને તેની સજા સુપ્રીમ કોર્ટે છ વર્ષમાંથી ઘટાડીને પાંચ વર્ષ કરી હતી.
ઉજ્જવલ નિકમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં પણ મુખ્ય સરકારી વકીલ રહ્યા હતા. મુંબઈ હુમલામાં એક માત્ર જીવિત બચેલાં પાકિસ્તાની આતંકી અજમલ કસાબને ફાંસી અપાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એક પ્રસંગે જ્યારે કસાબે જેલમાં બિરયાનીની માંગણી કરી, ત્યારે તેનો મુદ્દો રાજકીય રીતે ચર્ચામાં આવ્યો હતો. ઉજ્જવલ નિકમે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.





















