ગોંડલના વોરા કોટડા રોડ પર સબજેલ નજીક બેદરકારીને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. જેના કારણે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરનાર બે યુવાન કર્મચારીઓના મોત નીપજ્યા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને કર્મચારીઓ વીજ પોલ પર ચડી, નવી વીજ લાઈન નાખી રહ્યા હતા. દરમિયાન અચાનક વીજપ્રવાહ શરૂ થઈ જતાં કરંટ લાગતા બંને કર્મચારીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
આજે વહેલી સવારે ભગવાનસિંહ અને સૂરજકુમાર વીજપોલ પર ચડીને નવી વીજ લાઇન નાખવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે વીજ લાઇનમાં અચાનક વીજ પ્રવાહ શરૂ થવાથી બંને કર્મચારીઓને જોરદાર કરંટ લાગતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. થોડીવારમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.




















