ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને SOG ગીર સોમનાથ દ્વારા ઝડપવામાં આવ્યા હતા. આ બંને યુવકો વેરાવળના રામભરોસા ચોક વિસ્તારમાંથી મળ્યા હતા, જેને લઈને પોલીસ દ્વારા તરત જ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન બંને યુવકોએ તેઓ મદરેસાનો ચંદો ઉઘરાવવા માટે ગુજરાત આવ્યા હોવાનો દાવો કર્યો હતો.
બે શંકાસ્પદ કાશ્મીરી યુવક ઝડપાયા!
પકડાયેલા યુવકોમાં અનીસ ઉલ રેહમાન મુસ્તાક અહેમદ તાલીબ હુસેન ખટાના (ઉંમર 21 વર્ષ) અને મોહમદ અસલમ મો. શરીફ જલાલદીન ગખ્ખર (ઉંમર 39 વર્ષ)નો સમાવેશ થાય છે. બંને યુવકો મુસ્લિમ છે અને જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આવેલી મદ્રેસામાં શિક્ષક તરીકે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, બંને યુવકો ગત તા. 01/12/2025ના રોજ કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદથી કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જુનાગઢ, જેતપુર, માંગરોળ સહિતના અનેક શહેરોમાં રોકાઈ મદરેસા માટે ચંદો એકત્ર કર્યો હતો.
પોલીસે બન્ને ઈસમોની સઘન પૂછપરછ કરી
બંને યુવકો એસ.ટી. બસ મારફતે વેરાવળ આવ્યા હતા, જ્યાં SOGની ટીમે તેમને અટકાવી તપાસ હાથ ધરી હતી. સ્કેનર અને પૂછપરછ દરમિયાન બંનેએ કબૂલાત કરી હતી કે તેઓ કાશ્મીરના પૂંચ જિલ્લાના મદ્રેસાનો ચંદો ઉઘરાવીને તે રકમ મદરેસાના એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરાવતા હતા. આ મામલે SOG દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસનો સંપર્ક કરીને તપાસ કરતા બંને યુવકો કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નથી તેવું સામે આવ્યું હતું. તમામ પૂછપરછ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા બંને ઇસમોને મુક્ત કરવામાં આવ્યા હતા.





















