દ્વારકા જિલ્લામાં કુંજ પક્ષીઓના શિકારના મામલે મરીન નેશનલ પાર્ક, જામનગર વન વિભાગે સફળ કાર્યવાહી કરી છે. અનુસૂચિ–1 હેઠળ રક્ષિત કુંજ પક્ષીઓના શિકારની બાતમી વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીઓને મળી હતી કે આરોપીઓ શિકાર બાદ પોતાના ઘરે આવવાના છે. આ ચોક્કસ માહિતીના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓના ઘરે રેડ હાથ ધરી હતી.
પક્ષીઓના શિકારનાર બે ઝડપાયા
રેડ દરમિયાન આરોપી સિકંદર ભીખુ ઢોકી અને આસીફ ઇસ્માઇલ રાડિયાને પકડી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન શિકારમાં ઉપયોગમાં લેવાયેલ પતંગ, ઝાળ, પતંગ ઉડાડવાની દોરી તેમજ પતંગમાં બાંધવાની પુછડી સહિતનો મુદામાલ વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી બાદ દ્વારકા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી અદાલતે તેમને જિલ્લા જેલ જામનગર ખાતે મોકલવાનો હુકમ કર્યો છે.
શિકાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં ભારે ફફડાટ
આ કાર્યવાહી બાદ ઓખામંડળ–દ્વારકા તાલુકામાં શિકાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે રક્ષિત વન્યજીવો અને પક્ષીઓના શિકાર સામે કડક વલણ અપનાવવામાં આવશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.




















