Twisha Sharma Case: મધ્યપ્રદેશના સૌથી ચર્ચિત કેસ 'ટ્વિશા શર્મા મૃત્યુ મામલા'માં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટ્વિશા શર્માના સાસુ અને પૂર્વ જજ ગિરિબાલા સિંહની સીબીઆઈ (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભોપાલ સ્થિત ગિરિબાલાના ઘરે પૂછપરછ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમે હવે ટ્વિશાના સાસુની ધરપકડ કરી લીધી છે. આ મામલામાં આ એક મોટી ધરપકડ માનવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધી ગિરિબાલા ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજીનો સહારો લઈ રહ્યા હતા. જો કે, ગઈરાત્રે હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હવે સીબીઆઈએ ગિરિબાલા સિંહની ધરપકડ કરી લીધી છે. કેન્દ્રીય તપાસ ટીમ આવતીકાલે ગિરિબાલાને કોર્ટમાં રજૂ કરશે.
'અલ્લાહ કો ખૂન નહીં ચાહિએ' : બકરીઈદ પર કુર્બાનીની વિરુદ્ધમાં મુસ્લિમ અભિનેત્રીએ છેડ્યું અભિયાન
ગિરિબાલા પર કઈ કલમો લગાવવામાં આવી છે?
ગિરિબાલાની અરજી ફગાવી દેતા ન્યાયમૂર્તિ દેવનારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે આ ચુકાદામાં તપાસમાં વારંવાર સહકાર ન આપવો, આરોપોની ગંભીરતા અને નીચલી અદાલત દ્વારા પુરાવાઓની યોગ્ય તપાસ ન કરવામાં આવી હોવાનો હવાલો આપ્યો હતો. ધરપકડ પહેલા ગિરિબાલા સિંહ BNSની કલમ 80(2), 85, 3(5) તેમજ દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમો હેઠળ આરોપી હતા.
નીચલી અદાલતે ગિરિબાલાને આપ્યા હતા જામીન
તમને જણાવી દઈએ કે ટ્વિશા શર્માનું મૃત્યુ 12 મેના રોજ થયું હતું. આના બે દિવસ પછી 15 મેના રોજ FIR નોંધાઈ હતી. તે જ દિવસે નીચલી અદાલતે ગિરિબાલા સિંહને વચગાળાના જામીન આપી દીધા હતા, જ્યારે તેમનો પુત્ર અને આરોપી સમર્થ સિંહ હજી પણ CBIની કસ્ટડીમાં છે. હાઈકોર્ટના આ નિર્ણય પર ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ રાહત અને સંતોષ વ્યક્ત કર્યો છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, જે લોકો અત્યાર સુધી ન્યાયની આ લડાઈમાં અમારી સાથે ઉભા રહ્યા, હું તે બધાનો આભાર વ્યક્ત કરું છું. મને આશા છે કે આ તો માત્ર શરૂઆત છે."
શું છે સમગ્ર મામલો?
ટ્વિશા શર્માના મૃત્યુ બાદ આ મામલો સમગ્ર મધ્યપ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પરિવારજનોએ સતત દહેજ ઉત્પીડન અને માનસિક ત્રાસના આક્ષેપો કર્યા હતા. CBIએ આ મામલાની તપાસ પોતાના હાથમાં લીધી હતી, જે બાદ કેટલાક મહત્વના ખુલાસા થયા હતા. ગિરિબાલા સિંહની ધરપકડને આ તપાસની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.





